મૈત્રી કરાર પુરા કરવાનું કહેતાં સફાઇ કામદાર તનુજાબેનને અશ્વિને ધોકાવ્યા
જામનગર રોડ મોરબી હાઉસ પાસે બનાવઃ મહિલાને સારવાર લેવી પડી
રાજકોટ તા. ૨૭: જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે ડેલામાં રહેતાં અને મહાનગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં તનુજાબેન રાણાભાઇ વાડોદરા (વાલ્મિકી) (ઉ.૪૦)ને રાત્રે દસેક વાગ્યે રેલનગરમાં રહેતાં અને સફાઇ કામદાર તરીકે કામ કરતાં અશ્વિન કિશોરભાઇ વાણીયાએ લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી. તનુજાબેનના કહેવા મુજબ તેના પતિ નવીનભાઇ ટપુભાઇ ઝાલા હયાત નથી. તેણે ત્રણ વર્ષ પહેલા રેલનગરના અશ્વિન વાણીયા સાથે મૈત્રી કરાર કર્યા છે. પણ હવે અશ્વિન અવાર-નવાર માથાકુટ કરી હેરાન કરતો હોઇ તેને મૈત્રી કરાર પુરા કરી નાંખવાનું કહેતાં તે ઉશ્કેરાયો હતો અને રાત્રે ઘરે આવી મારકુટ કરી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.