દ્વારકા જીલ્લા ભાજપનાં હોદેદારોની નિમણુંકો જાહેર કરતાં ડો.જૈમન ઉપાધ્યાય
રાજકોટ તા. ર૭ :.. ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ મંડલ હોદેદારો (શહેર તેમજ તાલુકા હોદેદારો) તેમજ કારોબારીની જાહેરાત દ્વારકા જીલ્લાનાં સરપંચના અધિકારી અને રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ છે.
આ અંગે તેઓએ એક યાદીમાં જણાવ્યું છે કે દ્વારકા શહેર તથા તાલુકો, ખંભાળીયા શહેર તથા તાલુકો, ભાણવડ શહેર તથા તાલુકો, ઓખા શહેર, રાવલ શહેર, સલાયા શહેર તેમજ કલ્યાણપુર તાલુકા મંડલના હોદેદારો તેમજ કારોબારી સભ્યોની જાહેરાતમાં ભાજપના બંધારણ મુજબ દરેક મંડલમાં ૧-પ્રમુખ, ર-મહામંત્રી, ૬-ઉપપ્રમુખ, ૬-મંત્રી, ૧-કોષાધ્યક્ષ એટલે કે ૧૬ હોદેદારો તથા ૪પ-કારોબારી સદસ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં દરેક મંડલમાં ર૦ બહેનોને પ્રતિનિધીત્વ આપવામાં આવેલ છે. આમ જોતાં ૧૦ મંડલના કુલ ૬૦૦ કરતાં વધારે કાર્યકરોને જેમાં ર૦૦ કરતાં વધુ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિ સમીકરણો, ભૌગોલિક સમીકરણોનું ધ્યાન રાખવામાં આવેલ છે. મંડલ પ્રમુખો દ્વારા પ્રભારી કિરીટસિંહ રાણા જીલ્લા સંગઠનના સહપ્રભારી પ્રદિપભાઇ ખીમાણી જીલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી જવાબદારી સોંપવામાં આવેલ છે. નવા વરાયેલ મંડલ હોદેદારો તેમજ કારોબારી સદસ્યોને જીલ્લાના સાંસદ પુનમબેન માડમ, ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગ્રિમકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા, પુર્વ ધારાસભ્ય પબુભા માણેક, જીલ્લા મહામંત્રી દિનેશભાઇ દતાણી, યુવરાજસિંહ વાઢેર, જે. કે. કણઝારીયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.