જિલ્લા પંચાયતના લોકદરબારમાં ૧ર પ્રશ્નો : બુધવારે જસદણ-વીછીંયાનો લોકદરબાર
રાજકોટ, તા.ર૭ : જિલ્લા પંચાયતમાં આજે સતત ત્રીજો લોકદરબાર યોજાયો હતો. અગાઉના બે લોકદરબારમાં નબળા પ્રતિસાદ બાદ આજે ઉત્સાવધક પ્રતિસાદ મળેલ. આજે જિલ્લાના ૧ર પ્રશ્નો રજૂ થયા હતા. પંચાયત પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન સામાણી, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, બાંધકામ અધ્યક્ષ પી.જી. કયાડા વગેરે પ્રશ્નો સાંભળી નિરાકરણનો પ્રયાસ કર્યો હતો. બાંધકામને લાગતા ૭ પ્રશ્નો રજૂ થયા હતા. અન્ય પ્રશ્નો આરોગ્ય સિંચાઇ વગેરે વિભાગને લગતા હતા. આજે કચેરીમાં ભાજપના ૧૩ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપત બોદરે જણાવેલ કે જેટલા પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ શકય હોય તેનો સ્થળ પરથી નિકાલ કરવાનો પ્રયત્ન થાય છે. બાકીનામાં વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી ઉકેલની તાકીદ કરવામાં આવે છે. અન્ય વિભાગની ભૂમિકા હોય તો તેની સાથે સંકલન કરવામાં આવશે. આવતા બુધવારે બપોરે ૩ વાગ્યે જસદણ અને વીર્છીયાનો તાલુકા કક્ષાનો સંયુકત લોકદરબાર જસદણ પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં પંચાયત અને પ્રાંત કચેરીના અધિકારીઓ તથા સંબંધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.