રસના ચીચોડાની જગ્યા બાબતે બોલાચાલી બાદ જયુભા ગોહિલના ગળા પર છરીનો ઘાઃ ગંભીર ઇજા
કોઠારીયા રોડ રણુજાનગર પાસે બ્રહ્માણી હોલ નજીક બનાવ : મંડપ સર્વિસવાળા પટેલ બંધુ અનિલ વઘાસીયા અને ભાવેશ વઘાસીયાએ હુમલો કર્યો
રાજકોટ તા. ૨૭: કોઠારીયા રોડ પર રણુજાનગર શેરી નં. ૯માં રહેતાં જયુભા ભરતસિંહ ગોહિલ (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ પર બપોરે બારેક વાગ્યે કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસે પોતાના શેરડીના રસના ચીચોડાની જગ્યા પાસે હતાં ત્યારે અહિ મંડપ સર્વિસ ધરાવતાં પટેલ બંધુએ હુમલો કરી ગળા પર છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જયુભાને પહેલા ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં અનિલ વઘાસીયા અને ભાવેશ વઘાસીયાએ હુમલો કર્યાનું જણાવતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જયુભા બે ભાઇ અને બે બહેનમાં નાના છે અને સંતાનમાં બે પુત્ર છે. તેમના સગાએ જણાવ્યું હતું કે જયુભાએ ઉનાળાના સમયમાં બ્રહ્માણી હોલ પાસે કૈલાસ મંડપ સર્વિસ નજીક રસનો ચીચોડો મુક્યો હતો. હવે સિઝન પુરી થઇ હોઇ ચીચોડો બંધ કરવાનો હતો અને આ જગ્યા પણ ખાલી કરવાની આ બાબતે ગઇકાલે જ મંડપ સર્વિસવાળા અનિલ વઘાસીયા અને ભાવેશ વઘાસીયા સાથે વાત થઇ ગઇ હતી. દરમિયાન આજે સવારે જયુભા ચીચોડાની જગ્યાએથી સામાન ઉપાડવા ગયા ત્યારે છાપરુ હટાવવા મામલે બોલાચાલી કરી હુમલો કરાયો હતો. જેમાં ગળા પર છરીનો ઘા ઝીંકી દેવાયો હતો. જયુભાને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધવા તજવીજ આદરી છે.