રાજકોટ - સૌરાષ્ટ્ર સાથે નરેન્દ્રભાઈને દાયકાઓ જૂનો સંબંધ, સવિશેષ સ્નેહ
આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ,ભાવનગર-સુરત રો રો ફેરી,જામનગર આંતરાષ્ટ્રીય કક્ષાની આર્યુવેદીક યુનિવર્સીટી, સરહદી સુરક્ષા માટે દ્વારકા ખાતે મરીન કમાન્ડો સેન્ટર, જ્યોતિર્લીંગ સોમનાથનો સર્વાંગીણ વિકાસ સૌની યોજના, લાઈટહાઉસ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને આપી છે : ભલે પધાર્યા વડાપ્રધાન મોદીજી, આપનું અંતરના ઉમળકા સાથે સહર્ષ સ્વાગત છે : રાજુભાઈ ધ્રુવ
રાજકોટ, તા. ૨૭ : ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસને આવકારતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર નરેન્દ્રભાઈ મોદીનું અભૂતપૂર્વ સ્વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરો અને જનતા ઉત્સાહિત છે. જેવી રીતે રાજકોટ-સૌરાષ્ટ્ર માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સવિશેષ પ્રેમ છે તેવી રીતે રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે સવિશેષ પ્રેમ છે. સંઘ-ભાજપમાં એક સામાન્ય કાર્યકરથી રાષ્ટ્ર-ભારતના એક શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અવારનવાર નરેન્દ્રભાઈ મોદી પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને લોકકલ્યાણના કાર્યો માટે રાજકોટ-સૌરાષ્ટ્ર આવવાનો મોકો ચૂકતા નથી.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને રાજકોટ-સૌરાષ્ટ્રનો નાતો દાયકાઓ જૂનો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તરીકે તેમણે અનેક વખત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસો ખેડ્યા છે. સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્ય પદની ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે નરેન્દ્રભાઈ મોદીની લાગણી જગજાહેર છે. રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ પૂરા રાષ્ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. જેમ કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું હીરાસર એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાઈટહાઉસ પ્રોજેક્ટ,સોમનાથ મહાદેવ વિસ્તારનો સર્વાંગીણ વિકાસ, પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદે મેરિન કમાન્ડો હેડકવાટર્સ, ભાવનગર સુરત વચ્ચે રો રો ફેરી સર્વિસ, જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની આર્યુવેદીક યુનિવર્સીટી ઇન્સ્ટિટયૂટ વગેરેની ભેટ નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને ધરી છે.
રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે નરેન્દ્રભાઈ મોદીને દાયકાઓ જૂનાં સંબંધ અને સવિશેષ તોહ હોવાથી આંતરરાષ્ટ્રીય ફલક પર આપણું નામ દુનિયાભરમાં રોશન થયું છે. નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બન્યા બાદ રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રત્યેના તેમના વ્હાલમાં જરા પણ ઓછપ આવી નથી. નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્ટ્રને મળે અને પાણીની સમસ્યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમણે પોતાના પ્રત્યનો ચાલુ રાખ્યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે. રાજકોટ-સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા લોકકલ્યાણકારી કાર્યોનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.
રાજુભાઈ ધ્રુવે (મો. ૯૪૨૬૭ ૧૯૫૫૫) અંતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તે ઈશ્વર ના આશીર્વાદ સમી હોસ્પિટલનું સૌરાષ્ટ્રની પ્રજાને ભેટ આપનાર ડો. ભરતભાઈ બોઘરા ભાજપ પરિવારના સભ્ય છે તે વાતનો આનંદસહ ગૌરવ છે. રાજકોટના અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી, જૂનાગઢ જિલ્લાને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો વિશેષ લાભ મળશે. રાજકોટ-સૌરાષ્ટ્રને એઈમ્સ બાદ આરોગ્યક્ષેત્રે મળી રહેલી વધુ એક ભેટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ભાજપના નાનામાં નાના સામાન્ય કાર્યકરો, સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અગ્રણીઓ, પ્રદેશ કક્ષાથી લઈ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીથી લઈ રાષ્ટ્રના પ્રધાનમંત્રી સુધી રહેલા સૌ કોઈ રાજકોટ-સૌરાષ્ટ્રના સેવાયજ્ઞમાં પોતપોતાનું યોગદાન આપતા રહેશે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું