રાજકોટ
News of Monday, 27th May 2019

૪ દિ' પછી નિવૃત થતા રાજકોટના જોઇન્ટ સીપીને એક્ષટેન્શન આપવાની લોક લાગણી સ્વીકારાશે કે કેમ? આતુરતાભરી મીટ

દેશ અને ગુજરાતમાં ભાજપના ભવ્યવિજયના પગલે દિલ્હી ડેપ્યુટેશન પર જવા ઘણા આઇપીએસ થનગની રહયા છે : ૩૧મીએ શશીકાંત ત્રિવેદી, આવતા માસે વી.એમ.પારગી, જુલાઇમાંં મોહન ઝા અને ઓગષ્ટમાં સતિષ શર્મા નિવૃત થાયછે સુરતમાં કોને સીપી બનાવશે?

રાજકોટ, તા., ૨૭: લોકસભાની ચુંટણી પુર્ણ થતા અને ભારતીય જનતા પક્ષે તોતીંગ બહુમતી મેળવી લેવાના પગલે  હવે નરેન્દ્રભાઇ  મોદી વટભેર વડાપ્રધાન પદે બીરાજવાના હોવાથી ગુજરાત કેડરના આઇએએસ માફક  કેટલાક આઇપીએસ અધિકારીઓ પણ દિલ્હી  ડેપ્યુટેશન પર જવા માટેની તૈયારીઓ આરંભી છે. જો કે ઘણા આઇપીએસ અધિકારીઓ  ગુજરાતમાં પરત પણ ફરવા માંગી રહયા છે.

દરમિયાન ગુજરાતમાં લોકસભાની ર૬-ર૬ બેઠકો પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળની ગુજરાત સરકારે વિજય વાવટો લહેરાવવા સાથે, વિજયભાઇ પર જોખમ હોવાની તમામ ચર્ચાઓ પર પુર્ણવિરામ મુકવા સાથે દિલ્હી દરબારમાં પોતાની વહીવટી કાબેલીયત પુરવાર કરવાના પગલે હવે ગુજરાતમાં મહત્વના સ્થાને કેટલાક વિશ્વાસુ અને કાર્યદક્ષ  આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને મુકવાની ચર્ચાઓ ચાલે છે.

આઇપીએસ કક્ષાએ ચર્ચા કરીએ તો રાજકોટના લોકપ્રિય જોઇન્ટ પોલીસ કમિશ્નર  સિધ્ધાર્થ ખત્રી અને રાજય પોલીસ તંત્રના ખુબ જ અનુભવી એવા શશીકાંત ત્રિવેદી જેવા આઇજી કક્ષાના અધિકારીઓ નિવૃત થાય છે. આવતા માસે રાજકોટ ગ્રામ્યમાં બબ્બે વખત એસપી રહી ચુકેલા કાર્યદક્ષ એવા વી.એમ.પારગી નિવૃત થવાના છે. જુલાઇ માસમાં ડીજીપી કક્ષાના પ્રજામિત્રનું બિરૂદ ધરાવતા મોહન ઝા જેવા અનુભવી અને કાર્યદક્ષ અધિકારી સાથે સક્ષમ આઇપીએસ અધિકારી એવા સુરતના પોલીસ કમિશ્નર સતીષ શર્મા ઓગષ્ટ માસમાં નિવૃત થઇ રહયા છે. ત્યારે તેમના સ્થાને કોને મુકાશે? તે ચર્ચાઓએ જોર પકડયુ઼ છે.

જેમની નિવૃતીને આડે માત્ર ચાર જ દિવસ બાકી છે તેવા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ રાજકોટના લોકો માટે શિરદર્દ સમી ટ્રાફીકની સમસ્યા દુર કરવા માટે અથાગ જહેમત ઉઠાવી ગાડી માંડ માંડ પાટે ચડાવી છે. પોતાની ચેમ્બરમાં વિશાળ સ્ક્રીન પર સમગ્ર રાજકોટના મહત્વના ટ્રાફીક પોઇન્ટપર સવારથી મોડી સાંજ સુી સતત નજર રાખવા સાથે કંટ્રોલમાં પણ આ પ્રકારની ખાસ વ્યવસ્થા ચોક્કસ સ્ટાફ મારફત ગોઠવવાને કારણે ટ્રાફીક પોલીસથી લઇ વોર્ડન સુધી સતર્ક થઇ ડયુટી બજાવવા લાગેલ. આમાં બેદરકારી કરનાર સ્ટાફને તાત્કાલીક ઘરે બેસાડવાના કારણે તંત્ર સજાગ બન્યું હતું.  રાજકોટના વિવિધ સામાજીક સંગઠનો, રાજકીય પક્ષો, સંસ્થાઓ, મહિલા સંગઠનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ સિધ્ધાર્થ ખત્રીને રાજકોટમાં એક્ષટેન્શન આપી ચાલુ રાખવા માંગણી થઇ છે.  જો કે આ વિષય કેન્દ્રનો હોવાથી હવે શું થાય છે? તે તરફ આતુરતાભરી મીટ મંડાણી છે. એક્ષટેન્શન શકય નહિ બને તો રાજકોટને મળનાર નવા જોઇન્ટ કે એડીશ્નલ પોલીસ કમિશ્નર લો એન્ડ ઓર્ડર ઉપરાંત ટ્રાફીકનું જ્ઞાન ધરાવતા હોય તે ઇચ્છનીય છે. એક એવી વાત ચાલે છે કે સિધ્ધાર્થ ખત્રી એક્ષટેન્શન ન મળે તો હાલ તુર્ત જોઇન્ટ સીપીનો ચાર્જ અન્ય અધિકારીને સુપ્રત કરવામાં આવશે.

(1:21 pm IST)