કોઠારીયા સોલવન્ટ પાસે રિક્ષાની ઠોકરે સાઇકલ ચડતાં બિહારી આધેડનું મોત
અજાણ્યા આધેડની લાશ મળતાં આજીડેમ પોલીસે જુદા-જુદા વિસ્તારોમાં ફોટા બતાવતાં ઓળખ મળી
રાજકોટ તા. ૨૭: કોઠારીયા સોલવન્ટ પાસેથી ગઇકાલે અજાણ્યા આધેડની લાશ મળી હતી. સાઇકલ લઇને જઇ રહેલા આ આધેડને કોઇ છકડો રિક્ષાના ચાલકે ઠોકરે લેતાં પડી જતાં કપાળે ઇજા થતાં મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકની તસ્વીર સાથે અલગ-અલગ વિસ્તારોમાં જઇ તપાસ કરતાં આ વ્યકિત મુળ બિહારના હોવાની ઓળખ મળી હતી.
એક આધેડની લાશ કોઠારીયા સોલવન્ટ પાસે પડી હોવાની જાણ થતાં આજીડેમના પીએસઆઇ આર. વી. કડછા તથા રાઇટર યોગરાજસિંહે ત્યાં પહોંચી તપાસ કરતાં છકડાની ઠોકર લાગતાં આ આધેડ સાઇકલ પરથી પડી ગયાની માહિતી મળી હતી. તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી ન હોઇ પોલીસે મોબાઇલથી ફોટા પાડી જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં મુકયા હતાં. તેમજ મૃતક દેખાવે બિહારના વતની હોઇ તેવા લાગતાં હોઇ બિહારી લોકોના વિસ્તારમાં જઇ તસ્વીર બતાવી હતી. જે પૈકી એક યુવાને મૃતક અટીકા ફાટક પાસે રહેતાં બ્રિજબિહારી સુરેશભાઇ પટેલ (ઉ.૪૮) હોવાનું ઓળખી બતાવ્યું હતું.
પોલીસે તેમના સ્વજનોને બોલાવી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. કારખાનેથી છુટ્યા બાદ કોઇ કામ સબબ કોઠારીયા સોલવન્ટમાં જતાં આ બનાવ બન્યો હતો.