ગંજીવાડામાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ચમાર દંપતિ પર પાઇપથી હુમલો
ભરતભાઇને હાથમાં અને પત્નિ સરોજબેનને માતા-આંખમાં ઇજાઃ અરવિંદ સારેસા સહિતના તૂટી પડ્યા
રાજકોટ તા. ૨૭: ગંજીવાડાના ચામુંડા ચોકમાં રહેતાં ભરતભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.૪૦) નામના ચમાર યુવાન અને તેના પત્નિ સરોજબેન ગોહેલ (ઉ.૩૯) પર રાત્રીના સાડા નવેક વાગ્યે પડોશી અરવિંદ સારેસા તથા બીજા ચાર અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કરતાં ભરતભાઇને હાથમાં અને તેના પત્નિને માથા તથા આંખમાં ઇજા થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ભરતભાઇ સસ્તા અનાજની દૂકાનમાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ અરવિંદ સારેસાનો ભાઇ નરેશ ઘર પાસે ગાળાગાળી કરી ખેલ કરતો હોઇ તેને સમજાવવા જતાં અરવિંદ સહિતનાએ ઉપરાણુ લઇ હુમલો કર્યો હતો. હુમલામાં પત્નિને આંખમાં ગંભીર ઇજા થયાનું અને તાકીદે ઓપરેશન કરવું પડ્યું હોવાનું ભરતભાઇએ જણાવ્યું હતું.
હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં થોરાળા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.