રાજકોટ
News of Tuesday, 27th April 2021

રાજકોટમાં ક્લબ હાઉસમાં શરૂ કરાયું આઇસોલેશન સેન્ટર

બિલ્ડીંગમાં ૪૦થી વધુ ડોક્ટર રહે છે : રાજકોટમાં ૨૨ માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો

રાજકોટ, તા. ૨૭ : રાજકોટના સૌથી મોટા એવા ૨૨ માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં માથાથી લઈ પગ સુધીની બીમારીઓની સારવાર કરતાં ૪૫થી વધુ ડોક્ટરો નિવાસ કરી રહ્યા છે. આ તબીબોની સેવા બિલ્ડિંગના ૧૦૫ પરિવારોને મળી રહે તે માટે ક્લબ હાઉસમાં જ હાઇફાઈ ફેસિલિટીવાળું કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કે અહીં ૬ બેડ ઉભા કરવામાં આવ્યા છે અને ઑક્સિજન, નર્સિંગ સ્ટાફ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સદ્ભાગ્યે હજુ સુધી એક પણ બેડ ઉપર દર્દી દાખલ નથી .

આમ છતાં જો કોઈને હળવાં લક્ષણો હોય અને તે ઘરમાં દાખલ થવા માગતું ન હોય તો તે આ  સેન્ટરમાં દાખલ થઈને સારવાર મેળવી શકશે. બિલ્ડર મુકેશભાઈએ જણાવ્યું કે, અત્યારે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોનાગ્રસ્ત દર્દીએ આમ-તેમ જવું પડી રહ્યું છે. જેના કારણે ઘણો સમય વેડફાઈ જતો હોય છે.

આ જ સ્થિતિને ધ્યાનમાં રાખી સિલ્વર હાઈટસના ગંભીર લક્ષણો ધરાવતાં કોઈ વ્યક્તિને બેડ ન મળે ત્યાં સુધી કોવિડ સેન્ટરમાં દાખલ કરીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવશે. આ માટે ડો.કાંત જોગાણી (વોકહાર્ટ હોસ્પિટલ), ડો.સંકલ્પ વણઝારા (સ્ટર્લિંગ હોસ્પિટલ) ઉપરાંત ડો.સાવલિયા, ડો.જયેશ સોનવાણી, ડો.જનક ઠક્કર સહિતના ૪૫ જેટલા તબીબો સેવા આપશે. અત્યારે સોસાયટી દ્વારા ઑક્સિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડ્યે વધુ બેડ ઉભા કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજકોટમાં અત્યારે કોરોનાના અત્યંત ભયાનક કાળમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે તો ઑક્સિજન અને ઈન્જેક્શન માટે દર્દીઓએ મથામણ કરવી પડી રહી છે. ઘરમાં દાખલ હોય તેને ન તો પૂરતી માત્રામાં ઑક્સિજન મળી રહ્યો છે કે ન તો તેને વ્યવસ્થિત સારવાર મળી રહી છે.

(9:44 pm IST)