રાજકોટ
News of Tuesday, 27th April 2021

રૂખડીયા કોલોનીના રાજીવનગરમાં નશાખોર પતિએ ઝઘડો કરી પત્નિને છરીના ઘા ઝીંકયા

રાજકોટ તા. ૨૭: રૂખડીયા કોલોની પાસેના રાજીવનગરમાં રહેતી અકિલાબેન યુનુસ સિપાહી (ઉ.વ.૨૮) નામની પરિણીતાને તેના પતિ યુનુસ રફિકખાને છરીથી હુમલો કરી પેટમાં બે ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અકિલાબેન સાંજે ઘરે હતી ત્યારે પતિએ બહારથી આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં પેટ-પેડુમાં ગંભીર ઇજા થઇ હતી. લોકો ભેગા થઇ જતાં તેણીને સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ સંજયભાઇ દવે સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

અકિલાબેનના માવતર માલેગાંવ રહે છે. તેણીને સંતાનમાં બે પુત્રી છે. સગાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેણીનો પતિ કંઇ કામધંધો કરતો નથી અને નશો કરવાની ટેવ ધરાવે છે. દારૂ પી વારંવાર નાની નાની વાતે ઝઘડા કરી મારકુટ કરતો રહે છે. ગત સાંજે પણ તે નશો કરીને આવ્યો હતો અને ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. હુમલાખોર પતિ પોલીસના હાથવેંતમાં છે.

(4:44 pm IST)