રાજકોટ
News of Tuesday, 27th April 2021

ગઇકાલ સુધીમાં ૪૫ હજાર કરદાતાઓએ ૨૦.૦૨ કરોડનો એડવાન્સ વેરો ભરી દીધો

રાજકોટના પ્રમાણિક કરદાતાઓ દ્વારા વળતર યોજનાને જબરો પ્રતિસાદ : વધુને વધુ લોકો એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો લાભ લ્યે : મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની અપીલ

રાજકોટ,તા.૨૭ :  મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી છે જેમાં તા. ૨૬ એપ્રિલ સુધીમાં કુલ ૪૫૨૧૪ લોકોએ પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો લાભ લીધો હતો અને રૂપિયા ૨૦.૦૨ કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આગામી તા. ૩૧ સુધી આ યોજનાનો લાભ મળશે તો વધુને વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવે તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે શહેરીજનોને અપીલ કરી હતી.

વિશેષમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં  તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.  મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ વધુમાં એમ જણાવ્યુ હતુ કે, દર વરસે એડવાન્સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્ત્।મ સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

(4:43 pm IST)