રાજકોટ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખનું રાજીનામુ
યાર્ડના શાસકોએ દલાલ મંડળની ઓફિસનો કબ્જો લઈ દલાલ મંડળનું વિસર્જન કરી નાખતા રાજીનામુ આપ્યુ છેઃ અતુલ કમાણી
રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ માર્કેટયાર્ડમાં વેપારીઓ અને દલાલોની લાંબી હડતાલનો અંત આવ્યો છે ત્યારે આજે કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી તથા ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગાએ તેના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે.
યાર્ડમાં હડતાલના પગલે પરમ દિવસે યાર્ડના સંચાલકોએ દલાલ મંડળની ઓફિસને તાળુ મારી કબ્જો લઈ લીધો હતો અને મંડળની ઓફિસમાં યાર્ડ વિરૂદ્ધ પ્રવૃતિ કરનાર કમિશન એજન્ટ એસોસીએશનના હોદેદાર અતુલ કમાણી, કિશોર દોંગા તથા વલ્લભભાઈની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરવા નોટીસ આપી હતી. જો કે ગઈકાલે વેપારી તથા દલાલોએ રાજ્યના મુખ્યમંત્રીની યોગ્ય કાર્યવાહીની ખાત્રી બાદ હડતાલ સમેટી લીધી હતી.દરમિયાન કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી તથા ઉપપ્રમુખ કિશોર દોંગાએ તેના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતું. અતુલ કમાણીએ જણાવ્યુ હતુ કે, યાર્ડના સત્તાધીશોએ દલાલ મંડળની ઓફિસનો કબ્જો લઈ દલાલ મંડળનું વિસર્જન કરી નાખતા હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. દલાલ મંડળની કામગીરી હવે યાર્ડ સંભાળશે.