શકિતપીઠ અંબાજી મંદિરથી જ્યોતિપુંજ રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે લાવવામાં આવ્યોઃ સાંજે હરખભેર સામૈયા
રાજકોટ તા. ૨૭: શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે નવનિર્મિત અંબાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અંતર્ગત આજરોજ શકિતપીઠ અંબાજી મંદિર ખાતેથી સાંદિપની આશ્રમ પોરબંદરના ઋષી કુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યોતની પુજાવિધી કરવામાં આવનાર છે. આ દિવ્ય જ્યોત અને દર્શનનો લ્હાવો લેવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ધર્મપ્રેમી લોકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે સવારે અંબાજી મંદિર ખાતેથી લાવવામાં આવેલી અખંડ દિવ્ય જ્યોતને પુજારી શ્રી કમલેશભાઇ જોષીને અર્પણ કરવામાં આવી હતી. ત્યારની તસ્વીરમાં ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ. એચ. બી. ધાંધલ્યા તથા સાથે કોન્સ. શકિતસિંહ ગોહિલ નજરે પડે છે. જ્યોતના સામૈયા આજે સાંજે સાડા છ કલાકે પોલીસ હેડકવાર્ટર ખાતે કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે પોલીસ હેડકવાર્ટર સ્થિત વર્ષો જુના અંબાજી મંદિરનું પોલીસ પરિવારો દ્વારા જ ભવ્ય પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઇકાલે મુખ્ય મુર્તિ સહિત ૩૧ દેવી-દેવતાઓની મુર્તિઓના સામૈયા કરવામાં આવ્યા હતાં.