ખેલદિલીથી જનાદેશ સ્વીકારવાને બદલે કગથરા હાર પચાવી શકતા નથી : દુર્લભજીભાઇ
સોગંદનામામાં અમુક ખાનામાં હા કે ના લખવાને બદલે લીટો કરેલ તેને કોંગ્રેસ ક્ષતિ ગણે છે : ભાજપના ઉમેદવારનો બચાવ
રાજકોટ તા. ૨૭ : ટંકારા વિધાનસભાના ભાજપના વિજેતા ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરીયાએ પોતાના ઉમેદવારી પત્રમાં ખોટી કે અધૂરી માહિતી હોવાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના આક્ષેપને નકાર્યા છે.
દુર્લભજીભાઇએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, મારા સોગંદનામામાં અમુક ખાનામાં અમે ‘હા' કે ‘ના' લખવાને બદલે ડેસ (લીટો) કરેલ. ચૂંટણી અધિકારીએ અમને ‘હા' અથવા ‘ના' લખવાનું જણાવતા અમે તે પ્રમાણે સુધારો કરેલ. કોંગ્રેસના ઉમેદવાર આ બાબતને ક્ષતિ ગણે છે. મેં કોઇ માહિતી ખોટી દર્શાવેલ નથી. લોકશાહીમાં પરિણામને ખેલદિલીથી સ્વીકારવું જોઇએ તેના બદલે કગથરા હાર પચાવી શક્યા નથી તેથી આવી વાત કરે છે. તેમના (કગથરા)ના ફોર્મમાં પણ કેટલીક ભૂલો હતી પરંતુ અમે ખેલદિલીથી ચૂંટણી લડવા માગતા હતા તેથી વાંધો ઉઠાવેલ નહિ.