બે દિવસમાં રાત્રી કર્ફયુ ભંગના ૧૮૦, માસ્કના ર૩ સહિત જાહેરનામા ભંગના રર૩ કેસ
બસ, ઇકો, રીક્ષામાં વધુ પેસેન્જર લઇ નીકળેલા આઠ ચાલકો, રેસ્ટોરન્ટ અને દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૧૦ વેપારી ઝપટે ચડયા
રાજકોટ તા. ર૭ : કોરોનાના નવા વાયરસ ઓમીક્રોન વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ જાહેરનામાનું કડક પાલન કરાવી રહી છે. છેલ્લા બે દિવસમાં કર્ફયુ ભંગ કરનારા, માસ્ક પહેયા વગર નીકળનારા વાહનોમાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી રર૩ કેસ નોંધ્યા છે.
શહેરના અલગ-અલગ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં પોલીસ દ્વારા ટ્રાફીક પોઇન્ટ પર રાત્રીના ચેકીંગ દરમ્યાન રાત્રીના કર્ફયુ હોવા છતાં જરૂરી કામ વગર આટાફેરા કરનારા ૧૮૦ સામે કર્ફયુ ભંગની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત શહેર પોલીસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર નિકળનારા ર૩ શખ્સો સામે દંડનીય કાર્યવાહી કરી છે. તેમજ રેસ્ટોરન્ટ અને દુકાન બહાર ગ્રાહકો એકઠા કરી સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૧૦ વેપારી સામે પણ કાર્યવાહી કરી છે ઉપરાંત બસ, રીક્ષા અને ઇકોમાં વધુ મુસાફરોને બેસાડી પરીવહન કરતા ૮ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. તેમજ જુદા-જુદા વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ વાહન પાર્ક કરનારા ૮ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.