રાજકોટમાં આજે કોરોનાનો મૃત્યુઆંક ૪: નવા ૧૪ કેસ
શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૫,૦૮૦ નોંધાયા તથા ૧૪,૬૧૦ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૬.૯૭ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૮૮ બેડ ખાલી
રાજકોટ, તા.૨૭: વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં આજે ૪ મોત થયા છે. શહેરમાં બપોર સુધીમાં૧૪ કેસ નોંધાયા છે. આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૭ ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૪ દર્દીએ દમ તોડી દીધા હતો.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૨ પૈકી એક પણ મોત જાહેર કર્યુ નથી. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૮૮ બેડ ખાલી છે. શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
બપોર સુધીમાં ૧૪ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૫,૦૮૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૬૧૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૨૦ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૫૦૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૮.૨૦ ટકા થયો હતો.
જયારે ૫૭ દર્દીઓને સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૫,૬૫,૮૧૩ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૦૮૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૬ ટકા થયો છે.