રાજકોટમાં આવતીકાલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની યોજાનાર સભાને રાજકોટ પોલીસે મંજૂરી ન આપી
રાજકોટઃ કાલે બુધવારે 27મીએ ગુજરાત સંઘર્ષ સમિતિએ સભા માટેની મંજૂરી માંગી હતી. દિલ્હીની આજની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજકોટ પોલીસે રાજકોટમાં યોજાનાર ખેડૂત સંઘર્ષ સમિતિની સભાને મંજૂરી આપી નથી તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.
યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીને સંબોધી અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ તા.૨૭/૦૧/૨૦૨૧ ના કલાક ૧૨/૦૦ થી કલાક ૧૮/૦૦ વાગ્યા દરમીયાન ગુજરાત કિશાન સંઘર્સ સમિતિ કન્વીનર નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલ ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડુતોને જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોય જે બાબતે મંજૂરી મેળવવા અરજી કરેલ અને જે સભામાં હાલમાં કૃષી અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોય જે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો ખેડુતો હાજર રહેવાના હોય અને આ સભા રાજકીય ન હોય અને ફકત ખેડુતોમાં જાગૃતી લાવવા આ સભાનું આયોજન કરેલ હોય અને સભા દરમ્યાન કોઇ સુત્રોચારો કરવાના ન હોય અને હાલમા કોરોના વાઇરસ અન્વયે સરકારશ્રી તરફથી આપવામાં આવેલ ગાઇડલાઇન નુ સંપુર્ણ પાલન કરવાના હોય જેથી સભા અંગે મંજૂરી આપવામા આવેલ હતી.
પરંતુ તાજેતરમાં દિલ્હી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થયેલ તેમજ હાલમાં ગુજરાતમાં આચારસહીતા અમલમા હોય તેમજ આ સભામાં રાજકીય વ્યકિત બીન રાજકીય મંચ ઉપર ભેગા થાય તો આચારસહીતાનો ભંગ થવાની પુરી શકયતા હોય તેમજ અરજદારશ્રી પાસેથી સભામાં આવનાર ખેડુતો કયા કયાથી આવનાર છે તેમજ વાહનો તેમજ તેના નંબરોની માહિતી પુરી પાડવા જણાવવામાં આવેલ પરંતુ તેવી કોઇ માહિતી આયોજકો તરફથી પુરી પાડવામાં આવેલ ન હોય જેથી ઉપરોકત ગુજરાત કિશાન સંધર્સ સમિતી જે સભાનું આયોજન કરવાના હોય તેની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ને ધ્યાને રાખી મંજૂરી રદ કરવામાં આવેલ છે અને જે મંજૂરી રદ કરવામાં આવેલ હોય જે બાબતે ગુજરાત કિશાન સંધર્સ સમિતી ના આગેવાનો ને રૂબરૂ બોલાવી તેઓને મંજૂરી રદ કરેલ તે બાબતેની સમજ પણ કરવામાં આવેલ છે.