સંત કબીર રોડથી કુવાડવા રોડ સુધીનો વોંકળો ડેવલોપ કરાશે : દબાણો હટાવવા તાકિદ
વોર્ડ નં. ૫માં આવેલ વોંકળો અને વોર્ડ નં.૧૮માં એકશન પ્લાન પેવર વર્કની કામગીરીની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ,તા.૨૬: શહેરને સુંદર, રળિયામણું અને વધુ સારી સુવિધા યુકત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. ૨૬ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૦૫માં આવેલ સંતકબીર રોડથી કુવાડવા રોડ સુધીના વોંકળાની તેમજ વોર્ડ નં. ૧૮માં રાધેશ્યામ સોસાયટીમાં એકશન પ્લાન પેવર વર્કની ચાલુ કામગીરીની વિઝિટ કરી હતી.
મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, સંતકબીર રોડથી કુવાડવા રોડ સુધીનો વોંકળો ડેવલપ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આ વોંકળાને વધુ સુંદર બનાવવા માટે બ્યુટીફિકેશન કરવાનું પણ આયોજન કરવામાં આવશે.
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ વોંકળાની આસપાસ સર્વે કરી દબાણ દુર કરવા ટાઉન પ્લાનિંગ ઓફિસરને સુચના આપી હતી તેમજ વોર્ડ નં. ૧૮માં રાધેશ્યામ સોસાયટીમાં ચાલુ પેવર વર્કની કામગીરી દરમ્યાન જાહેરમાં પાણી ઢોળાતા આસામીઓને તાકીદ કરવા નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીને સુચના આપી હતી.
આજની વિઝીટમાં મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, કાર્યપાલક ઈજનેર વાય. કે. ગૌસ્વામી, ટાઉન પ્લાનિંગ ઓફિસરએમ. ડી. સાગઠીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. ટાઉન પ્લાનિંગ ઓફીસર વી. વી. પટેલ, શ્રી આશિષ પટેલ, આસી. મેનેજર ભરત કાથરોટીયા હાજર રહ્યા હતા.