શહેરમાં કોરોનાનો વધુ એક કેસ સાથે ૮ દર્દીઓ સારવારમાં
ઘાંચીવાડમાં રહેતા અને ઉતરપ્રદેશથી આવેલ ૪૨ વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યોઃ ગઇકાલે ૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો
રાજકોટ તા. ૧૯: શહેરમાં કોરોનાં લગભગ કાબુમાં આવી ગયો હતો પરંતુ દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. શહેરમાં ગઇકાલે ૧ કેસ નોંધાયા છે. ગઇકાલે ૨દર્દીઓેએ કોરોના હરાવતા હાલ ૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજ બપોર સુધીમાં શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.
બપોર સુધીમાં '૦' કેસ
આ અંગે મનપાની આરોગ્ય શાખાની સત્તાવાર માહિતી મુજબ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૮૭૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૪૦૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૮૨૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૭૯,૩૯૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૭૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૫ ટકા એ પહોંચ્યો છે.
ગઇકાલે ૧ કેસ નોંધાયા
મનપાનાં આરોગ્ય વિભાગનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે એક કેસ નોંધાયા હતા. જેમાં શહેરનાં વોર્ડ નં.૭નાં ઘાંચીવાડમાં રહેતા અને ઉતર પ્રદેશથી પરત આવેલ ૪૨ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે.તેઓ હોમ આઇસોલેટમાં સારવાર હેઠળ છે. તેમના પરિવારનાં સભ્યોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.