માસ્તર સોસાયટીમાં કરિયાવર બાબતે વંદનાબેન હુંબલને પતિ - સાસરિયાનો ત્રાસ
પતિ કરણ, સાસુ ભાવનાબેન, સસરા નરેશભાઇ, દિયર મયુર અને અર્જુન સામે ગુનો
રાજકોટ તા. ૨૬ : કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટીમાં સાસરીયુ ધરાવતી પરિણીતાને પતિ, સાસુ, સસરા અને દીયર ઘરકામ તથા કરિયાવર બાબતે શારીરિક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નં. ૮માં માવતર સાથે રહેતા વંદનાબેન કરણભાઇ હુંબલ (ઉ.૨૭)એ મહિલા પોલીસ મથકમાં કોઠારીયા રોડ પર માસ્તર સોસાયટી શેરી નં. ૧૧માં રહેતો પતિ કરણ નરેશભાઇ હુંબલ, સસરા નરેશભાઇ બાવાભાઇ હુંબલ, સાસુ ભાવનાબેન નરેશભાઇ હુંબલ, દિયર મયુર હુંબલ અને અર્જુન હુંબલ સામે ફરિયાદ નોંધાવી છે. વંદનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ૨૦૧૮માં માસ્તર સોસાયટીમાં રહેતા કરણ હુંબલ સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડો સમય પતિ, સાસુ, સસરાએ સારી રીતે રાખ્યા બાદ બાદ પતિ, સાસુ, સસરા ઘરકામ જેવી નાની નાની બાબતે ઝઘડો કરી અપશબ્દો બોલતા અને મારકુટ કરતા હતા. સાસુ અને સસરા તથા બંને દિયર પતિને ચઢામણી કરતા પતિ અવાર-નવાર શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. બાદ પોતે માવતરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્સ. પી.એમ.પાટડીયાએ તપાસ હાથ ધરી છે.