દિપાવલીના તહેવારોનો ધમધમાટ : મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકો ઉમટ્યા : વેપારીઓ ખુશખુશાલ
રાજકોટ : આગામી દિપાવલીના તહેવારોને હવે ચાર થી પાંચ દિવસ જ બાકી રહ્યા છે. આવતા સોમવાર અને અગિયારસથી અને ૧લી નવેમ્બરથી દિવાળીના તહેવારોનો ધમધમાટ શરૂ થઈ જશે. ૪ તારીખે દિવાળી છે. બે અને ૩ તારીખે વાઘ બારસ, ધનતેરસ અને કાળી ચૌદશ છે. આ તહેવારોને અનુલક્ષીને રાજકોટની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર, સાંગણવા ચોક, લાખાજી રાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ચિક્કાર ખરીદી જોવા મળી રહી છે. લોકો ખાસ કરીને ગૃહીણીઓ અને મહિલાઓ અવનવા ફેન્સી ડ્રેસ, કપડા, બુટ - ચંપલ, રંગોળી, આસનીયા, પગ લૂંછણીયા, ફ્રીઝ અને ટેબલના કવર, ફુલોની ડેકોરેશન લાઈટો, કોળીયા, વગેરેની ચીક્કાર ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. ગયા વખતે કોરોનાને કારણે વેપારીઓમાં મંદીનો ભયંકર અણસાર હતો. પરંતુ આ વખતે કોરોના સમાપ્ત થતાં હવે ખરીદીનો દોર શરૂ થતાં વેપારીઓના ચહેરા ઉપર પણ રોનક જોવા મળી રહી છે. ઉપરોકત બજારોમાં આવેલ શોરૂમમાં પણ સાંજના સમયે ભારે ગીરદી જામે છે. ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, પરાબજાર, સાંગણવા ચોક વિસ્તારમાં ખરીદી માટે રાજકોટની રંગીલી પ્રજા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)