૨૨ વર્ષની કારકિર્દીમાં ૫૦૦ ઇનામો મેળવનાર ડીવાયએસપી આર.આર.સરવૈયાનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન
યુનિયન હોમ મિનિસ્ટર એવોર્ડ જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર આ અધિકારી સૌરાષ્ટ્રનું ગૌરવ
રાજકોટ તા.૨૬: તાજેતરમાં ગુજરાતના ૯૯ જેટલા પોલીસ અધિકારીઓને તથા જુનિયર અધિકારીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હસ્તે ચંદ્રક અલંકરણ, ૨૦૨૨થી વિભુષિત કરવામાં આવ્યા તેમાં કેન્દ્ર ગૃહખાતા દ્વારા થોડો સમય અગાઉ વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો તેવા ડીવાયએસપી લેવલના મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકના વતની અને રાજય પોલીસના ખરા અર્થમાં જાંબાઝ અને ખાનદાન અધિકારી તરીકે આર.આર. સરવૈયાનો સમાવેશ થતાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશાળ શુભેચ્છકો ધરાવતા આ અધિકારી પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
૨૨ વર્ષની કારકિર્દીમાં ૫૦૦થી વધુ ઇનામો મેળવનાર આ અધિકારીએ દેશભરમાં ચર્ચિત અમદાવાદના બોંબ ધડાકા મામલામાં કે જેમાં આરોપીને સજા થયેલ તે સહિત અનેક દેશદ્રોહી તત્વો વિરૂધ્ધ સુદ્રઢ તપાસ ટીમ સાથે રહી કરેલ. તેમની ફરજ નિષ્ઠા ધ્યાને રાખી તેમને અમદાવાદ અને સુરતમાં વિવિધ સ્થાન પર ૧૨ વર્ષ ડીસીબી કે જે ક્રાઇમ બ્રાન્ચ તરીકે જાણીતી છે. તેમાં વિવિધ હોદા પર ફરજ બજાવેલ. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે રહી અનેક માથાભારે ગુનેગારોને પક્કડી પોલીસ અને કાયદો શું છે તેનું ભાન સૌરાષ્ટ્રની આગવી પધ્ધતિ મુજબ કરાવેલ. ડીજી કોમેન્ડેશન ડિસ્કનું બહુમાન પણ મેળવેલ છે.