કલ્યાણ નગરમાં ૨૨ વર્ષની મનિષા રાઠોડે ગળાફાંસો ખાઇ દૂનિયા છોડી
બે માસુમ પુત્રી મા વિહોણીઃ ચાર વર્ષ પહેલા યુવતિએ લવમેરેજ કર્યા'તા
રાજકોટ તા. ૨૬: એચ. જે. દોશી હોસ્પિટલ પાસે કલ્યાણ નગરમાં રહેતી મનિષા જીતુ રાઠોડ (ઉ.૨૨) નામની વણકર પરિણીતાએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.
મનિષાબેને સાંજે પોતાના ઘરમાં પંખામાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટીની તપાસમાં તેણી મૃત્યુ પામ્યાનું જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ઇન્ચાર્જ જીવણભાઇએ માલવીયાનગર પોલીસને વાકેફ કરતાં પીએસઆઇ એ. આર. મલેક અને અરૂણાભાઇ ચાવડાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર યુવતિના માવતર ગોધરા રહે છે. તેણી ભીલ જ્ઞાતિની હતી અને ચાર વર્ષ પહેલા રિક્ષાચાલક જીતુ રાઠોડ (વણકર) સાથે લવમેરેજ કર્યા હતાં. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી છે જે મા વિહોણી થઇ ગઇ છે. પોલીસે પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને તેણીના માવતરને જાણ કરી છે. કારણ બહાર ન આવતાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.