ચાર માસથી આણંદથી રાજકોટ રહેવા આવેલા યુવાને પ્રેમમાં નિષ્ફળતા મળતાં જિંદગી ટૂંકાવી
૨૪ વર્ષનો યુવાન રૈયા ગામે ભાડેના મકાનમાં રહેતો હતોઃ તે એક યુવતિના પ્રેમમાં પાગલ હતો, પણ યુવતિ તેને પ્રેમ કરતી નહોતીઃ ગળાફાંસો મોત મેળવી લીધું
રાજકોટ તા. ૨૬: રૈયા ગામમાં અંજલી ડેરી પાસે ચિરાગભાઇ દિનેશભાઇ તેરૈયાના મકાનમાં ચારેક માસથી ભાડેથી રહેતાં મુળ આણંદના યુવાન અસ્યાંશ દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામના યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
આકાશ મુળ આણંદનો વતની હતો અને ચારેક માસથી રાજકોટ રૈયા ગામે માતા-બહેન સાથે રહી કડીયા કામ કરતો હતો. ગઇકાલે તેના માતા આણંદ ગયા હતાં અને બહેન પણ બહાર ગયા હતાં. આણંદથી માતા તેને ફોન જોડતાં હતાં પરંતુ તે ફોન રિસીવ કરતો ન હોઇ માતાએ મકાન માલિકને તપાસ કરવા કહેતાં મકાન માલિકે તપાસ કરતાં અસ્યાંશ રૂમમાં લટકતો જોવા મળ્યો હતો.
દરવાજો તોડી ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ ઇએમટી પારસભાઇએ આ યુવાન મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એન. બી. ડોડીયાએ જાણ કરતાં યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ ચુડાસમા અને રાકેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે અસ્યાંશ આણંદની એક યુવતિને પ્રેમ કરતો હતો. પરંતુ યુવતિ તરફથી રિસ્પોન્સ મળ્યો ન હોઇ તે શોકમાં ગરક થઇ જતાં આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.