રાજકોટ
News of Wednesday, 26th June 2019

ક્ષત્રિય સમાજના લોહીમાં રહેલી સ્કીલને સાચી દિશામાં ઉજાગર કરોઃ બાપુ

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરીત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર યોજીત સ્કીલ એવોર્ડ સેરેમની સંપન્ન :આજની યુવા પેઢીની સ્કીલને ઓળખીને બહાર લાવવાનું કાર્ય સમાજના સહકારથી જ શકયઃ હકુભા જાડેજા : અશોકસિંહજી પરમાર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના હસ્તે જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ભાઇ-બહેનોનું સન્માન

રાજકોટઃ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ઁ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર-રાજકોટ દ્વારા આયોજીત રાજય કક્ષાનો પંદરમો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૯ કાર્યક્રમ હેમુ ગઢવી નાટયગૃહ,  ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા, મંત્રીશ્રી-હકુભા જાડેજા (જામનગર) અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં દબદબાભેર યોજાઈ ગયો.

કાર્યક્રમના પ્રમુખ સ્થાને પૂર્વ મુખ્યમંત્રી-શંકરસિંહ વાઘેલા બુ, મુખ્ય અતિથી વિશેષ સ્થાને રાજય કક્ષાના મંત્રી-ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), માંડવીના ધારાસભ્ય-વીરેન્દ્રસિંહજી જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ-ગાયત્રીબા અશોકસિંહજી વાઘેલા, નિવૃત્ત નાયબ સચિવ-શ્રી અશોકસિંહજી પરમાર અને જીએનએફસી, પૂર્વ ચેરમેન-કિશોરસિંહજી સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં GPSC પરીક્ષા (૨૦૧૪ થી ૨૦૧૯) પાસ કરી કલાસ-૧ અને ૨ ઓફિસર બનનાર સમાજનું ગૌરવ વધારનાર ક્ષત્રિય સમાજના આશરે ૬૦ થી વધારે ભાઈઓ-બહેનો તેમજ ક્રિકેટ, હેન્ડબોલ, એથ્લેટીકસ, ટેનિકોઈટ, ઊંચી કુદ, બરછી ફેંક, ગોળા ફેંક, થ્રી બોલ, રોલર સ્કેટીંગ, કાર્ટ રેસિંગ, રાઈફલ શુટિંગ, તલવારબાજી, સોફટ બોલ, બાસ્કેટ બોલ, સોફટ ટેનિસ, રાષ્ટ્રપતિ ચંદ્રક, હેમર થ્રી, ચક્ર ફેંક, ડીસ થ્રો, વિઘ્નદોડ, ૭૫ પ્લસ એથાલીટીકસ, કરાટે, હોકી, ફૂટબોલ, કબડી, યોગાસન, આર્ટ, લલિતકલા વિ. તથા  મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ એચિવમેન્ટ મેળવનારા અંદાજે ૭૫થી વધારે ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનોનું સ્કીલ એવોર્ડ અર્પણ કરી અદકેરૃં સન્માન સંસ્થાન તરફથી કરવામાં આવ્યું હતું.

કચ્છ-માંડવીના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનું ક્ષત્રિય સમાજના ૧૧૬ દિકરીબાઓનું કન્યાદાન કરવા બદલ સંસ્થાન વતી સ્ટેન્ડીંગ ઓવેશન સાથે અદ્દભુત અને અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થાન વતી સંસ્થાનના પ્રમુખશ્રી ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા)એ એમના વ્યકતવ્યમાં સર્વ સ્કીલ એવોર્ડના સન્માનાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધિને સંસ્થાન વતી રજુઆત કરતી વાતમાં ગુજરાતનું અને દેશનું ગૌરવ અને વિશ્વનું અજોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા) પાસે અખંડ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી દેશના ૫૬૨ રજવાડાઓએ ભારતમાં વિલીનીકરણ કરી ત્યાગનું , રાષ્ટ્રપ્રેમનું અને માતૃભુમિ ભકિતનું અદ્દભુત ઉદાહરણ પુરૃં પાડનાર એ સર્વ રજવાડાઓની ઐતિહાસીક ઝાંખીનું મ્યુઝિયમ બને સાથે સાથે દેશની આઝાદીમાં અંદાજે છ લાખ જેટલા શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્ણ યાદ કરી એમની ઐતિહાસીક યાદી પણ આ મ્યુઝિયમમાં સમાવેશ કરવો સાથે સાથે વેદ કાલિન ભારતવર્ષ, રામાયણ કાલિન ભારતવર્ષ, મહાભારત કાલીન ભારતવર્ષ, ચાણકય કાલિન ભારતવર્ષ તેમજ પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન રાષ્ટ્રને સમર્પિત યોદ્ઘાઓના ઇતિહાસને પણ આ મ્યુઝિયમમાં અંકિત કરવો.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ અધ્યક્ષસ્થાનેથી પાટીદાર સમાજને લક્ષ્યમાં રાખી આઝાદી પછી ૭૦ વર્ષમાં દરેક ક્ષેત્રમાં એમને કરેલી પ્રગતિ, ખંત પૂર્વકની મહેનત અને દાન માટેની ઉદારતા સાથે શિક્ષણ જગતને જબરજસ્ત ઉંચાઇ આપી એ વિષયને લઈને ક્ષત્રિય સમાજે એમની પાસેથી એ વાત સમજવી અને શિખવી જોઈએ એ માર્મીક ટકોર કરી. સાથે સાથે ક્ષત્રિય સમાજને લોહીમાં રહેલી સ્કીલને સાચી દિશામાં ઉજાગર કરવાનો નિર્દેશ પણ કર્યો. સાથે સંસ્થાનની ટીમના આ સંકલનને અને કાર્યક્રમને બિરદાવ્યો.

રાજયકક્ષાના મંત્રીશ્રી હકુભા જાડેજા (જામનગર) એ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીની સ્કીલને ઓળખીને બહાર લાવવાનું કાર્ય સમાજના સહકારથી જ શકય છે. સ્કીલની ઓળખ થકી ભવિષ્યના સુશિક્ષીત સમાજના નિર્માણનું કાર્ય આસાન બનાવી શકશે. સમાજ છેવાળાના માનવીને સાથે ચાલી રહ્યો છે. સમાજે ઉદ્યોગક્ષેત્રે આગળ વધવા અને સમાજની સાથે ચાલવા અંતમાં જણાવ્યું હતું.

પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમારે એમના વકતવ્યમાં કલાસ-૧-૨ ના સન્માનાર્થીઓને બિરદાવ્યા સાથે રમત-ગમત ક્ષેત્રના સન્માનાર્થીઓને ધ્યાન દોર્યું કે, રમત-ગમત સાથે ર્સ્પધાત્મક પરિક્ષાની તૈયારીને પણ તમારૃં લક્ષ્ય બનાવો અને તે ક્ષેત્રે સ્કીલ ડેવલપ કરો.ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલાએ એમના વકતવ્યમાં નાની ઉંમરના સ્કીલ એવોર્ડ સન્માનાર્થી દિકરા-દિકરીઓને ખુબ અભિનંદન આપ્યા. સાથો સાથ સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમની વિશેષતાઓને બિરદાવી સાથે સાથે વધુને વધુ સન્માનાર્થીઓ આ ક્ષેત્રે આગળ વધે એવી શુભકામના આપી.જીએનએફસીના પૂર્વ ચેરમેન અને સાહિત્યકારશ્રી કિશોરસિંહ સોલંકીએ એમની કવિત્વ શૈલીમાં ક્ષત્રિય સમાજને આગળ વધવાની પ્રેરણા લેવા માટે ખુબ જ સરસ દ્રષ્ટાંત સાથે ઉદબોધન કર્યું અને કહ્યું કે સ્કીલ એટલે કે કૌશલ્ય ને કઈ રીતે જાણી શકાય તેને કઈ દિશામાં આગળ વધવું તેનું ખુબ સરસ આયોજન વિદ્યાર્થી કાળથી જ કરવાનો નિર્દેષ કર્યો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (બંધીયા), ડો. જીગરસિંહ બી. જાડેજા (બાવરીયા), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા), રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), કુલદિપસિંહ એન. રાઠોડ (ઇડર), દિલીપસિંહ આર. ગોહીલ (પચ્છેગામ),  ભરતસિંહ આર. રાણા (અડવાળ), બકુલસિંહ જી. જાડેજા (મોટી-વાવડી), સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી-વાવડી), પ્રવીણસિંહ એમ. જાડેજા (સમાદ્યોદ્યા), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), નરેન્દ્રસિંહ આર. રાણા (ભરાડા), શકિતસિંહ જી. વાઘેલા (ભાડેર), સિધ્ધરાજસિંહ કે. જાડેજા (ડેરી) તેમજ સર્વ સાથી મિત્રો અને સંકલન સમિતિના સદસ્યશ્રીઓ જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમ ખૂબ જ સફળ અને યશસ્વી રહ્યો હતો.

(3:36 pm IST)