પરસાણાનગરમાં પતિને ભગાડી જનાર બહેને માથે જતાં ઝઘડો કરતાં ઉષાબેને ફિનાઇલ પીધું
રાજકોટ તા. ૨૬: જામનગર રોડ પર પરસાણાનગર-૭માં રહેતાં ઉષાબેન મુકેશભાઇ વાઘેલા (ઉ.૩૫) નામના વાલ્મિકી મહિલાએ ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઉષાબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તેના લગ્ન મુકેશ મોહનભાઇ વાઘેલા સાથે થયા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ લાઇટ ફિટીંગનું કામ કરે છે. એક મહિના પહેલા તેની વિધવા બહેન રીટાબેન પતિ મુકેશને ભગાડી ગઇ હતી. બંને થોડા દિવસ પહેલા જ પાછા આવ્યા છે અને હવે પોતે જ્યાં રહે છે એ જ મકાનમાં ઉપરના માળે રહે છે. આજે પતિ પોતાને ત્યાં ચા પીવા આવ્યા તે બહેન રીટાબેનને ન ગમતાં તેણે નીચે આવી ઝઘડો કરતાં પોતાને માઠુ લાગી જતાં ફિનાઇલ પી લીધું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.
પતિએ જમવા નહિ આવું...કહેતાં અફસાના ફિનાઇલ પી ગઇ
બજરંગવાડીમાં રહેતી અફસાના મુન્ના મહેરવાણી (ઉ.૨૨) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. પતિ મટનનો ધંધો કરે છે. તેના કહેવા મુજબ તેણે મજાકમાં ફોન પર વાત દરમિયાન પોતે જમવા નહિ આવે તેમ કહેતાં પત્નિને માઠુ લાગી જતાં તેણે ફિનાઇલનો ઘૂંટડો ભરી લીધો હતો. ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.