એલએલબીનો અભ્યાસ કરવા ઇચ્છતી પત્નિ સાથે ચડભડ થતાં રવિનો આપઘાત
ગળાફાંસો ખાધોઃ રણુજા મંદિર પાસે જડેશ્વર વેલનાથમાં બનાવઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા'તાઃ કોળી પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ રણુજા મંદિર સામે જડેશ્વર વેલનાથમાં રહેતાં રવિ મનસુખભાઇ સોલંકી (ઉ.૨૨) નામના કોળી યુવાને ઘરના ઉપરના રૂમમાં એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રવિ કારખાનામાં મજૂરી કરતો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્નિને હાલમાં એલએલબીનો અભ્યાસ કરવો હતો. પરંતુ રવિને તેને અભ્યાસ કરવાની ના પાડતાં બંને વચ્ચે ચડભડ થઇ હતી. જેના કારણે રવિને માઠુ લાગી જતાં ઘરના ઉપરના રૂમમાં જઇ આ પગલુ ભરી લીધું હતું.
પરિવારજનો ઉપર જતાં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં રવિ લટકતો મળ્યો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.