રાજકોટ
News of Sunday, 26th May 2019

સુરત શહેરમાં બનેલ આગ લાગવાની ઘટના ખુબ જ દુઃખદઃ મેયર-સ્ટે. ચેરમેન

રાજકોટના તમામ કોચિંગ કલાસો, શાળાઓ, કોલેજોમાં ફાયરસેફટીના સાધનો વસાવવા બીનાબેન આચાર્ય તથા ઉદય કાનગડની અપીલ

રાજકોટઃ મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ ગઈકાલે સુરત શહેરના કોચિંગ કલાસના આગ લાગવાથી ૧૯ વિદ્યાર્થીઓના મૃત્યુ થયેલ છે આ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવે છે કે, આ ઘટના વ્રજઘાત સમાન અને હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના બનેલ છે. થોડી બેદરકારી કે આળસના કારણે આવી વિકરાળ ઘટનાઓ બનવા પામતી હોય છે. શિક્ષણ ક્ષેત્રે આજે હરીફાઈનો યુગ છે ત્યારે માં-બાપ પોતાના સંતાનોને તેમની સાથે કદમ મિલાવવા સ્કુલ-કોલેજની સાથોસાથ કોચિંગ કલાસોમાં પણ મોકલતા હોય છે. ત્યારે આવી કોઈ ઘટનાથી માતા-પિતા પોતાના લાડકવાયાને ગુમાવવાથી પોતાની માથે ભયંકર પહાડ પડ્યો હોય તેવી અનુભૂતિ થાય છે.

સુરતની આ ઘટનાને ધ્યાનમાં રાખી, રાજકોટ શહેરમાં પણ ચાલી રહેલા જુદા જુદા કોચિંગ કલાસો શાળા-કોલેજો વિગેરેના સંચાલકશ્રીઓએ કોઈના લાડકવાયા સાથે આવી ઘટના ન ઘટે તે માટે બિલ્ડીંગોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટે સાધનો, સી.સી. ટીવી કેમેરા તેમજ આવી ઘટના વખતે બહાર જઈ શકાય તેવા રસ્તાઓ વિગેરે જેવી સુવિધાઓ અપનાવા અપીલ સાથે તાકીદ કરવામાં આવે છે. ફકત પૈસાની દોટ માટે કલાસીસ ચલાવવાના બદલે સુરક્ષાની સુવિધાઓ ઉભી કરવી જોઈએ તેમજ નિયમોનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ.

સુરતમાં બનેલ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને પરમ કૃપાળુ પરમાત્મા મોક્ષ ગતિ પ્રદાન કરે અને તેમના પરિવાર પર આવી પડેલ આ દુઃખદ ઘટના સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના સાથે શ્રધાંજલી પાઠવી છે.

(11:06 am IST)