સરધારમાં ખારચીયાના રસ્તે ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં ૧૭ વર્ષના અર્પિત પટેલનું મોત
નાસ્તો કરવા જતો'તો ને કાળ ભેટ્યોઃ માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ આ વર્ષે જ ધોરણ-૧૨માં પ્રવેશ લીધો હતોઃ આશાસ્પદ પુત્રના મોતથી અઘેરા (કડવા પટેલ) પરિવારમાં કલ્પાંતઃ મૃતકના માતા મુળ મોરબીનાઃ સરધાર ખાતે બીજા લગ્ન કર્યા છે
રાજકોટ તા. ૨૬: સરધારના ખારચીયા જવાના રસ્તા પર મોડી રાત્રે એકાદ વાગ્યે રોડ પર ઇન્ડિીકેટર વગર ઉભા રખાયેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં બાઇકચાલક સરધારના કડવા પટેલ યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. એકના એક આશાસ્પદ દિકરાના મોતથી કડવા પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સરધારમાં ભમ્મરીયા વાડી રાજદિપ સોસાયટીમાં રહેતો અર્પિત કિશોરભાઇ અણીયારા (ઉ.૧૭) રાત્રે એકાદ વાગ્યે ઘરેથી બાઇક નં. જીજે૩જેજી-૫૫૪૬ હંકારીને ખારચીયા જવાના રસ્તા પર નાસ્તો કરવા જતો હતો ત્યારે ખારચીયાના રસ્તે આગળ એક ટ્રક ઉભો હોઇ તેમાં ઇન્ડિકેટર ચાલુ ન હોઇ અંધારાને કારણે ટ્રક ન દેખાતાં બાઇક તેની પાછળ અથડાતાં અર્પિત રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
બનાવની જાણ થતાં તેના પાલક પિતા અનિલભાઇ લાભુભાઇ અઘેરા તેમજ તાલુકા પંચાયતના ચેતનભાઇ પાણ, ધર્મેન્દ્રભાઇ અઘેરા સહિતના બનાવ સ્થળે પહોંચ્યા હતાં અને ગંભીર ઇજાગ્રસ્ત અર્પિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ અર્પિતનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
આજીડેમના પીએસઆઇ આર.વી. કડછા અને રાઇટર કનુભાઇ, કેતનભાઇએ પાલક પિતા અનિલભાઇ અઘેરાની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. ટ્રક પાછળ બાઇક અથડાતાં અવાજ થતાં ચાલક ટ્રક લઇ ગભરાઇને નીકળી ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
તપાસનીશ પીએસઆઇ શ્રી કડછાના કહેવા મુજબ અર્પિત રાત્રે ગાંઠીયા ખાવા જતો હતો. તે એક બહેનથી નાનો હતો અને ધોરણ-૧૨માં આ વર્ષે પ્રવેશ લીધો હતો. તેના માતા મુળ મોરબી પંથકના છે. તેણીએ સરધારના અનિલભાઇ અઘેરા સાથે બીજા લગ્ન કર્યા છે. દિકરો-દિકરી તેણીના આગલા ઘરના સંતાન છે. બનાવની સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૫)