ત્રણ દિ'પહેલા લાકડા કાપવા ગયેલા યુવાનની પાણીના ખાડામાંથી લાશ મળી : રહસ્યમય મોતથી ચકચાર
યાર્ડ બંધ હોવાથી ભરત ખૂંટ શુક્રવારે ઘરેથી લાકડા કાપવા ગયા બાદ ગઇ કાલે લાશ મળી : બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી : મોત આકસ્મિક કે અન્ય કોઇ રીતે ? તપાસ યથાવત
રાજકોટ,તા. ૨૬: ભીંચરી ગામમાં રહેતા યુવાન ત્રણ દિવસે પહેલા લાકડા કાપવા ગયા બાદ ગઇ કાલે તેની લાલપરશીના પાણીના ખાડામાંથી ફુલાયેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે.
મળતી વિગત મુજબ ભીંચરી ગામમાં રહેતા ભરતભાઇ ભાણજીભાઇ ખૂંટ (ઉવ.૩૫) માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા હોય, યાર્ડ બંધ હોવાથી તે ગત શુક્રવારે સાંજે લાલપરી તળાવ વિસ્તારમાં બળતણ માટે લાકડા કાપવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તે પરત ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ગઇ કાલે તેની ભીચરી ગામની સીમમાં આવેલા પાણીના ખાડામાંથી ફુલાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ વિક્રમસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ભરતભાઇ માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હતા. તે ચારભાઇમાંથી બીજા નંબરના હતા. તેનું અકસ્માતે પાણીના ખાડામાં ડૂબ જવાથી કે અન્ય તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેને દારૂ પીવાની ટેવ હોવાની ચર્ચા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.