ખોડિયારનગરમાં મનસુખભાઇ હરિયાણીનો સારણ ગાંઠના દર્દથી કંટાળી ઝેર પી આપઘાત
રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર પુનિતનગર પાસે ખોડિયારનગર ગોવર્ધન ચોકમાં રહેતાં બાવાજી વૃધ્ધ મનસુખભાઇ કલ્યાણદાસ હરિયાણી (ઉ.૬૭)એ સાંજે આઠેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચરે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મનસુખભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં. તેમના મિત્ર રસિકભાઇના કહેવા મુજબ મનસુખભાઇને લાંબા સમયથી સારણ ગાંઠ થઇ હોઇ તેનું દર્દ સહન થતું ન હોવાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
વૃધ્ધાશ્રમમાં રહેતાં ભગવાનજીભાઇનું મોત
ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં ભગવાનજીભાઇ બાવચંદભાઇ મહેતા (ઉ.૭૮) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.