રાજકોટ
News of Friday, 26th April 2019

લોહાણા મહાજન' અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન'નું નેતૃત્વ કરશે

અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા તથા ટોચના પાંચસોથી વધુ અગ્રણીઓની ઐતિહાસિક હાજરી થકી જ્ઞાતિ એકતાના અદ્દભુત દર્શન થયા : જ્ઞાતિને રાજકીય, સામાજિક તથા પ્રશાસનિક પ્રવાહમાં સક્ષમ સ્થાન મળે તે માટે 'એકા મતે એકા જૂથે' સૌએ નિર્ધાર કર્યો : સનદી તથા વહીવટી અધિકારીઓ (IAS, IPS, GAS, IFS વિગેરે) બનવા માટેના નિઃશુલ્ક વર્ગો શરૂ કરવાની જાહેરાત : નકારાત્મક વિચારધારાને તિલાંજલી આપી હકારાત્મક વિચારધારા સૌ અપનાવીએઃ કિરીટભાઇ ગણાત્રા : નાણાંના અભાવે કોઇપણ કાર્ય અધુરૂ છોડવામાં નહીં આવેઃ રાજુભાઇ પોબારૂ : મહાજનને વૃક્ષમાંથી વટવૃક્ષ બનાવવા માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન અનિવાર્યઃ ડો. નિશાંત ચોટાઇ : કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો અને એટીટયુડ તથા પ્રોફેશનલ ટચ સાથે નવા કલેવર ધારણ કરતું રાજકોટ લોહાણા મહાજન : જ્ઞાતિ ઉત્કર્ષ તથા જ્ઞાતિહિતના વિકાસકામોની વણઝાર

તસ્વીરમાં જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું સ્વાગત કરતા રાજુભાઇ પોબારૂ, તાસ્વી પોબારૂ, છબીલભાઇ પોબારૂ, સિદ્ધાર્થ પોબારૂ સહિતના નજરે પડે છે. ઉપરાંત ૫૦૦થી વધુ હાજર રહેલ જ્ઞાતિશ્રેષ્ઠીઓ તથા પ્રસંગોચિત ઉદ્બોધન કરતા તથા દિપ પ્રાગટ્ય કરતા કિરીટભાઇ ગણાત્રા, રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઇ ઠક્કર, નવીનભાઇ ઠક્કર, હિતેષભાઇ બગડાઇ, વિણાબેન પાંધી અને માસ્ટર ઓફ સેરેમની ડો. પરાગ દેવાણી નજરે પડે છે.

રાજકોટ તા.૧૭: રાજકોટ લોહાણા મહાજને કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો અને કોર્પોરેટ એટીટયુડ તથા પ્યોર પ્રોફેશનલ ટચ સાથે નવા કલેવર ધારણ કર્યા છે ત્યારે જ્ઞાતિ ઉત્કર્ષ તથા જ્ઞાતિ હિતના વિકાસકામોની પણ વણઝાર જોવા મળી રહી છે.

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાના યજમાનપદે તાજેતરમાં કુવાડવાથી આગળ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ પ્રભુ ફાર્મ એન્ડ રીસોર્ટ ખાતે રાજકોટની જુદી જુદી રઘુવંશી સંસ્થાઓના પદાધિકારીઓ, સમાજના દાતાઓ, શ્રેષ્ઠીઓ, પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિઓ, અગ્રણી વેપારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજના સર્વાંગી કલ્યાણની પ્રવૃતિને વેગ આપવા સ્નેહમિલન (ચિંતન મંથન સેમિનાર) યોજાયું હતું.

આ ગૌરવવંતા સ્નેહમિલનમાં લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રના ટોચના પાંચસો થી વધુ  અગ્રણીઓની ઐતિહાસિક હાજરી થકી જ્ઞાતિ એકતાના અદ્દભુત દર્શન થયા હતા. અલગ-અલગ વિચારધારા ધરાવતા લોહાણા શ્રેષ્ઠીઓ એક છત્ર હેઠળ એકઠા થતાં ખરા અર્થમાં 'અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન' અભૂતપૂર્વ રીતે દીપી ઉઠયું હતું.

'એક છત્ર એક વિચાર', 'વિવાદ નહીં વિકાસ', ' વાદ નહીં સંવાદ' વિગેરે સૂત્રોને સાર્થક કરવા લોહાણા જ્ઞાતિને રાજકીય, સામાજિક તથા પ્રશાસનિક પ્રવાહમા મોભાદાર- સક્ષમ સ્થાન મળે તે માટે 'એકા મતે એકા જૂથે' હાજર રહેલ સૌ અગ્રણીઓએ નિર્ધાર કર્યો હતો. ઉપરાંત સમાજ તથા જ્ઞાતિ હિતના કોઇપણ કાર્યને સફળ બનાવવા માટે સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન અને શીખ આપતા અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાએ પ.પૂ. જલારામ બાપા અને પૂ. ગુરૂદેવને વંદન કરીને જણાવ્યું હતું કે રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો અને જ્ઞાતિ એકતાના અલોૈકિક દર્શન કરાવતો આજનો દિવસ ખરેખર ઐતિહાસિક અને અવિસ્મરણિય છે. જ્ઞાતિ એકતાનું મહત્વ સમજાવતા કિરીટભાઇ ગણાત્રાએ કહ્યું હતું કે નકારાત્મક વિચારધારાને તિલાંજલી આપી આપણે સૌ હકારાત્મક વિચારધારા અપનાવીએ તે જ સમાજનું સાચું ગૌરવ છે. ખોટું બોલવાની તથા ખોટું લગાડવાની ટેવ કાઢી નાખવી તે જ આજના સમયની માંગ છે. હકારાત્મક દ્રષ્ટિકોણ, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા સંગઠનની તાકાત અશકય કામને પણ શકય બનાવી દેતા હોવાનું કિરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું.

સનદી તથા વહીવટી અધિકારીઓ (IAS, IPS, GAS, IFS વિગેરે) બનવા માટે ટૂંક સમયમાં જ લોહાણા સમાજ માટેના નિઃશુલ્ક વર્ગો એકસપર્ટ ફેકલ્ટીઝના સંગાથે શરૂ કરવાની જાહેરાત પણ કિરીટભાઇ ગણાત્રાએ કરી હતી. વિગતવાર માહિતી હવે પછી અખબારી યાદી દ્વારા જણાવવામાં આવશે.

સ્નેહમિલનના આયોજક અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે પ.પૂ. જલારામબાપાની કૃપાથી રાજકોટ લોહાણા મહાજન દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે અવિરત અને અસરકારક પગલાં લેવાઇ રહ્યા છે ત્યારે નાણાંના અભાવે કોઇપણ કાર્ય અધુરૃં છોડવામાં નહીં આવે. રાજકોટની તમામ મહાજનવાડીઓનું તથા દ્વારકા, હરીદ્વાર અને શ્રીનાથદ્વારા ખાતે આવેલ સમાજના અતિથિગૃહોના નવનીકરણનું કાર્ય વન બાય વન સાકાર થઇ રહ્યું છે તેનો રાજુભાઇ પોબારૂએ રાજીપો વ્યકત કરીને પોતાને આ કામમાં નિમિત બનવા બદલ ભાગ્યશાળી ગણાવ્યા હતા. અંતમાં રાજુભાઇ પોબારૂએ અતિ વ્યસ્તતા વચ્ચે સ્નેહમિલનમાં હાજર રહેવા બદલ તથા સચોટ માર્ગદર્શન આપવા બદલ કિરીટભાઇ ગણાત્રાનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

સ્નેહમિલન કાર્યક્રમની રૂપરેખા તથા મહત્વ સમજાવતા રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ માહિતી આપતા જણાવ્યું હતું કે આશરે ૭૦ વર્ષો પૂર્વેના રાજકોટ લોહાણા મહાજનના બંધારણમાં સમયોચિત સુધારા અનિવાર્ય હોય, બંધારણ સુધારાની કાર્યવાહી ગતિમાં છે. આ માટે બંધારણ સુધારણા કમિટીના સભ્યો રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક, ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, હીરાભાઇ માણેક, નવીનભાઇ ઠક્કર, રામભાઇ બરછા, પ્રકાશભાઇ ખંધેડીયા વિગેરે દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે અને સમય, સંજોગો અને ભવિષ્યને ધ્યાને લઇ જ્ઞાતિહિતમાં ટૂંક સમયમાં જ બંધારણનો સુધારેલો ડ્રાફટ સમાજ સમક્ષ જાહેર કરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે મહાજનને વૃક્ષમાંથી વટવૃક્ષ બનાવવા માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન અનિવાર્ય છે.

પ્રસંગોચિત ઉદ્દબોધનમાં રાજકોટના અગ્રણી કેળવણીકાર નવીનભાઇ ઠક્કરે કિરીટભાઇ ગણાત્રાને લોહાણા સમાજના કામધેનુ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે સમગ્ર વિશ્વના સૌથી મોટા એવા રાજકોટ લોહાણા મહાજનને 'વિવાદ મુકત' અને 'વિકાસ યુકત' કરવામાં કિરીટભાઇ ગણાત્રાનો  સિંહ ફાળો છે. જો કિરીટભાઇ ગણાત્રાએ અંગત રસ ન લીધો હોતતો રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષના  હાલમાં થઇ રહેલા સક્રિય અને ઝડપી કાર્યોને બ્રેક લાગી ગઇ હોત. નવીનભાઇ ઠક્કરે રાજુભાઇ પોબારૂને પણ બાહોશ અને દીર્ધદ્રષ્ટા પ્રમુખ તરીકે ગણાવ્યા હતા.

ઉપરાંત શિક્ષીત તથા પ્રોફેશનલ્સ યુવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કેળવણીકારો અને અનુભવીઓ નો  સમાવેશ જેમાં થયો છે તેવી મહાજન કારોબારી અને મહાજન સમિતિને પણ સમાજના હિતમાં અસામાન્ય કાર્ય  કરતી ગણાવી હતી. સમગ્ર મહાજન સમિતિમાં મહિલાઓને અપાયેલ પ્રતિનીધીત્વની પણ નોંધ લીધી હતી.

આ ઉપરાંત વિશ્વ લોહાણા મહા પરિષદના ટ્રસ્ટી વિણાબેેેન પાંધી તથા રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન અને  ચેમ્બરઓફ કોમર્સના પૂર્વ ઉચ્ચ હોદેદાર હિતેષભાઇ બગડાઇએ પણ પ્રાસંગીક પ્રવચનમાં રાજકોટ લોહાણા મહાજનની હાલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. સમાજના કોઇપણ કામ માટે સદાય તત્પર રહેવાનો તેઓએ કોલ આપ્યો હતો.

સ્નેહમિલન (ચિંતન મંથન સેમિનાર) માં ઉપસ્થિત લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી અમુલ્ય સુચનો માટે આહવાન કરાતા  તેઓ પાસેથી અનેક સુચનો મળ્યા હતાં. આ  સુચનો સંદર્ભે લોહાણા મહાજનના પદાધિકારીઓએ ચર્ચા-વિચારણા કરી હકારાત્મક અભિગમ સાથે નિર્ણય કરવા કટીબધ્ધતા વ્યકત કરી હતી.

ગણેશસ્તુતિ અને ત્યારબાદ દિપ પ્રાગટયથી શરૂ થયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજકોટ લોહાણા  મહાજનના  સેક્રટરી  ડો. હિમાંશુભાઇ ઠક્કરે કર્યુ હતું. ત્યારબાદ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાનું અનુક્રમે બુકે, મોમેન્ટો, શાલ, તથા ફુલોના હારથી સ્વાગત રાજુભાઇ પોબારૂ, તાસ્વી પોબારૂ, છબીલભાઇ પોબારૂ, સિધ્ધાર્થ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઇ ઠક્કર, તથા ધવલભાઇ ખખ્ખરેેકર્યુ હતું. આભારવિધી મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટકે કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માસ્ટર ઓફ સેરેમનિ તરીકે ડો. પરાગ દેવાણી રહ્યા હતા.

કાર્યક્રમ પુરો થયે જય જલીયાણ, જય રઘુવંશના નાદ સાથે સોૈ મહાનુભાવોએ પોતાના મોબાઇલ ફોનની ફલેશ લાઇટ ચાલુ કરી જ્ઞાતિ સંગઠનને બિરદાવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ થઇ હતી.

સ્નેહમિલનમાં યજમાન કિરીટભાઇ ગણાત્રા તથા આયોજક રાજુભાઇ પોબારૂના આમંત્રણને માન આપીને હીરાભાઇ માણેક, હિતેષભાઇ બગડાઇ, વિણાબેન પાંધી, નવીનભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઇ નથવાણી, જનકભાઇ કોટક, ધર્મેન્દ્રભાઇ મીરાણી, પંકજભાઇ તન્ના, પરેશભાઇ વિઠ્ઠલાણી, ડો. મયંકભાઇ ઠક્કર, કેતનભાઇ પાવાગઢી, કે.ડી. કારીયા, રમણભાઇ કોટક, વિજયભાઇ કારીયા,  એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ બકુલભાઇ રાજાણી, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), દિલીપભાઇ પૂજારા, નિમેષભાઇ રૂઘાણી, ઇશ્વરભાઇ ખખ્ખર, મનુભાઇ ઠક્કર, દિલીપભાઇ મસરાણી, દિપકભાઇ નથવાણી, કંુદનબેન રાજાણી, કિર્તીબેન ગોટેચા, ઇન્દુબેન ઠક્કર, મયંકભાઇ તથા પ્રિતીબેન પાંઉ, પ્રદિપભાઇ ભાગ્યોદય, બિંદીયાબેન અમલાણી, ભૂપેન્દ્રભાઇ ખખ્ખર, ભરતભાઇ ભીંડોરા, દિનેશભાઇ તન્ના, સુરેશભાઇ ચંદારાણા, નિતીનભાઇ રાયચુરા, રાજેશભાઇ પોપટ, મેહુલભાઇ નથવાણી, વિશાલભાઇ કક્કડ, ડો. સુશીલભાઇ કારીયા, નટુભાઇ કોટક, જયંતભાઇ સેજપાલ, શરદભાઇ અનડા, જેષ્ઠારામભાઇ ચતવાણી, રાજેન્દ્રભાઇ કોટેચા, કલ્પેશભાઇ બગડાઇ, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ સોમૈયા, નલીનભાઇ બુદ્ધદેવ, સતીષભાઇ રૂઘાણી, સુરેશભાઇ ચેતા, હસમુખભાઇ બલદેવ, પરેશભાઇ શીંગાળા, ગૌરવભાઇ પૂજારા, રમેશભાઇ ધામેચા, મિતેષભાઇ રૂપારેલીયા, કેતનભાઇ ચોટાઇ, પરેશભાઇ રૂપારેલીયા, ડો. દિગંતભાઇ ઠક્કર, પ્રકાશભાઇ સોમૈયા, ધર્મેશભાઇ વસંત, અમિતભાઇ રૂપારેલીયા વિગેરે મહાનુભાવો તથા સમગ્ર મહાજન કારોબારી અને મહાજન સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

કમલેશભાઇ મીરાણી, મનિષભાઇ રાડીયા, કાંતિભાઇ કતીરા, પ્રતાપભાઇ કોટક, ડો. હર્ષદભાઇ ખખ્ખર, રતુભાઇ શીંગાળા, નિતીનભાઇ નથવાણી, અનિલભાઇ વણઝારા, સંજયભાઇ લાખાણી, નરેન્દ્રભાઇ કેસરીયા, નવીનભાઇ કોટક, ભારતીબેન કોટેચા, અશોકભાઇ કુંડલીયા, હરેશભાઇ પૂજારા, કિરીટભાઇ પાંધી વિગેરે જ્ઞાતિશ્રેષ્ઠીઓ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શકયા ન હતા. તેઓ બધાંએ ટેલિફોનિક તથા પત્ર દ્વારા ચિંતન મંથન સેમિનાર- સ્નેહમિલન કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. અમુક અગ્રણીઓએ સ્નેહમિલનના અગાઉના દિવસોમાં રૂબરૂ આવીને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

અંતમાં સરસમજાનું સ્વાદિષ્ટ ડીનર લઇને જ્ઞાતિ એકતા અને જ્ઞાતિ ઉત્કર્ષના નવા જોમ-જુસ્સા સાથે સોૈ છુટા પડયા હતા.

(3:55 pm IST)