રાજકોટ
News of Friday, 26th April 2019

કાલાવડ રોડ કે.કે.વી.ચોક ટ્રાફિક પ્રશ્ને પો.કમિ.નું જાહેરનામું રદ્દ કરવા કોર્ટમાં દાવો

૧૫૦ ફુટના વિશાળ રસ્તા ઉપર વાહન ચાલકોને જમણી સાઇડ જવા ન દેવાતા રાજકોટના બે વકીલોએ જાગૃત નાગરિક દરજ્જે જાહેર હિતમાં દાવો કર્યોઃ કોર્ટ દ્વારા પોલીસ કમિશનર-સરકારને નોટિસ અપાઇઃ પો.કમિ.ના જાહેરનામાથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ...

રાજકોટ તા.રપઃ રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા રૂપ બનતી જાય છે, અને તેમાં પણ જયારે તંત્રની અણઆવડત છતી થાય ત્યારે લોકો માટે ટ્રાફિકની સમસ્યા વધુ તકલીફવાળી થઇ જાય છે.

રાજકોટનો કાલાવડ રોડ ખુબ જ વિકસીત થયો છે, મહિલા કોલેજ અંડરબ્રીજથી ગણીએ તો છેક, મેટોડા સુધી આ રસ્તા ઉપર દિવસે તેમજ મોડી રાત્રી સુધી ટ્રાફિક સમસ્યા ઘેરી બની છે. કાલાવડ રોડની સાથે મહત્વના બે મોટા રસ્તા ૧૫૦ ફુટ રીંગ રોડ તેમજ યુનિવર્સિટી રોડ ઉપર છેવાડાના વિસ્તારો સુધી ટ્રાફિક સમસ્યા વિકસીત બની રહી છે.

આવી પરિસ્થિતિમાં કાલાવડ રોડના કે.કે.વી. ચોકની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા જેવી છે. આવી પરિસ્થિતિમાં મ્યુનિ.તંત્ર દ્વારા કે.કે.વી. ચોક અને કાલાવડ રોડની બંને બાજુ અંડરબ્રીજનો પ્રોજેકટ પણ વિચાર્યો પરંતુ આ બાબતે તંત્ર હજુ મુંઝવણ અનુભવે  છે. જયારે ૧૫૦ ફુટનો વિશાળ રીંગ રોડ હોવા છતાં વાહન ચાલકો જમણી બાજુ યુ-ટર્ન લઇ શકતા નથી કારણ કે, ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે જયારે ટ્રાફિક સિગ્નલ ખુલે ત્યારે વાહનચાલકો યુ-ટર્ન લઇ શકે નહિ તવી વ્યવસ્થા ગોઠવતાં વાહન ચાલકોને સિધે સીધુ કાલાવડ રોડ ઉપર જ આવ-જા કરવી પડે છે. અને પછી અડધા કિ.મી. સુધી જઇને ફરી પાછા કાલાવડ રોડ ઉપર યુ-ટર્ન લેવા આવવું પડે છે.

આવી પરિસ્થિતિમાં પરિમલ સ્કૂલ પાસે અને વોકહાર્ર્ટ હોસ્પિટલ પાસેના નાની શેરીના રસ્તાઓ ઉપર ટ્રાફિક સમસ્યા ઉભી થઇ જાય છે. ટ્રાફિક પોલીસ તંત્રના આવા અણધડ વહીવટ અને વ્યવસ્થાના કારણે રાજકોટના બે એડવોકેટ કેતન ડી. શાહ અને સંજીવ આઇ. શાહે જાગૃત નાગરિક દરજ્જે રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા કે.કે.વી. ચોકની ટ્રાફિક સમસ્યાના મુદ્દે બહાર પાડવામાં આવેલ જાહેરનામું રદ્દ કરવા રાજકોટની કોર્ટમાં દાવો દાખલ કરતા અદાલતે પોલીસ કમિશનર અને ગુજરાત સરકાર ઉપર નોટિસ કાઢવાનો હુકમ કરેલ છે.

આ મુદ્દે કાલાવડ રોડ કે.કે.વી ચોકમાં પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામું રદ કરાવવા કોર્ટમાં પ્રતિનિધિ સ્વરૂપનો દાવો એડવોકેટ કેતન ડી. શાહ, અને સંજીવ આઇ. શાહે દાખલ કરેલ છે.

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ કે.કે.વી. ચોક વાળા ફોરલેન રસ્તા ઉપર પોલીસ કમિશ્નરશ્રીઓ જમણી તરફ વાળવાની મનાઇ ફરમાવતું ગેરકાયદેસર અને મનસ્વી જાહરેનામું આજ થી ર-૩ માસ પહેલાં બહાર પાડેલ, તે જાહેરનામું ટ્રાફિકના નિયમનને બદલે ટ્રાફિકની સમસ્યા વધારતું હોય, વળી કાલાવડ રોડ તરફથી યુનિવર્સિટી રોડ તરફ કે ગાંધીગ્રામ તરફ જતા શહેરીજનો કે વાહનચાલકોને ખુબ જ સમસ્યા રૂપ હોય, આવું જાહેરનામું તાત્કાલીક અસરથી પાછુ ખેંચાવડાવવા એડવોકેટ શ્રી ડી.જી. શાહે ગત તા. ૭-૨-૧૯ ના રોજ પોલીસ કમિશ્નરશ્રી રાજકોટને લેખીત વાંધાના સ્વરૂપમાં નોટિસ પણ પાઠવેલી, પરંતુ પોલીસ કમિશ્નરશ્રી રાજકોટે, તે નોટિસ-વાંધાને લક્ષમાં લીધેલ નહીં કે વાંધેદારને સાંભળવાની તક આપેલ નહી કે જાહેરનામું પરત ખેંચેલ નહી.

આથી રાજકોટના એડવોકેટ કેતન ડી. શાહ તથા સંજીવ આઇ. શાહે પોલીસ કમિશ્નર શ્રીનું રાજકોટના કે.કે.વી.ચોક ખાતેનું ઉપરોકત જાહેરનામુ રદબાતલ ઠરાવવા વાસ્તે રાજકોટની દિવાની કોર્ટમાં રે.દિ.મુ.નં. ૭૦/૧૯થી દાવો દાખલ કરેલ છે અને જાહેરનામું તાત્કાલિક અસરથી સ્ટે. કરવા સહિતની દાદ માગેલ હોય આ દાવામાં દિવાની કોર્ટ રાજકોટે પોલીસ કમિશ્નર શ્રી રાજકોટ તથા સરકારને તા. ૨૬-૪-૧૯ના રોજ કારણદર્શક નોટિસ કાઢેલ છે.

ઉપરોકત દાવો એડવોકેટ શ્રી કેતન ડી. શાહે જાહેર હિત માટે કરેલ હોય, પ્રતિનિધિ સ્વરૂપનો દાવો હોય, રાજકોટના કોઇપણ નાગરિક કે જે કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા હોય અને કે.કે.વી. ચોક પાસેની ટ્રાફિકની ઉપરોકત સમસ્યાનો સામનો કરતા હોય, તેઓ આ દાવામાં જોડાવવા માગતા હોય તેઓએ એડવોકેટ શ્રી કેતન ડી. શાહ મો.નં. ૯૪૨૭૨ ૨૦૯૭૩ તથા એડવોકેટ શ્રી સંજીવ આઇ. શાહ મો.નં. ૭૮૭૮૦ ૩૪૦૦૮ નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

(3:54 pm IST)