ખોટા બીલ ઉભા કરી ચેકનો દુરૂપયોગ કરી પરાગભાઈ મજેઠીયા પાસે પૈસા પડાવવા ધમકી
પોલીસ કમિશનરને લેખીત ફરિયાદઃ ગાંધીગ્રામ પોલીસ તરફ તપાસ
રાજકોટ, તા. ૨૬ :. રૈયા ચોકડી પાસે મારૂતી પાર્ક શેરી નં. ૫ માં રહેતા યુવાનના કોરા ચેકનો દુરૂપયોગ કરી નાણા પડાવવા માટે બે શખ્સો ધાકધમકી આપતા પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ થઈ છે.
મળતી વિગત મુજબ રૈયા ચોકડી જય ચામુંડા સ્ટોરની બાજુમાં મારૂતી પાર્ક શેરી નં. ૫ મા રહેતા પરાગભાઈ પ્રફુલભાઈ મજેઠીયા (ઉ.વ. ૩૦) એ પોલીસ કમિશનરને કરેલી લેખીત ફરીયાદમાં સ્નેહદીપના નામ આપ્યા છે. પરાગભાઈએ અરજીમાં જણાવ્યુ છે કે, પોતે લોન એજન્ટ તરીકેનું કામ કરે છે. સ્નેહદીપ મારા કાકાના પુત્ર શીવમ મજેઠીયાના મિત્ર થતા હોય અને તેઓને બાજપાઈ યોજના હેઠળ લોન જોઈતી હોય અને તેની પ્રક્રિયામા અમારી મદદની જરૂરીયાત ઉભી થતા અમારા પરિચયમાં આવેલ અને તે દરમ્યાન તેમને આર્થિક ગંભીર રકમની જરૂરીયાત ઉભી થયેલ હોય અને પોતાને લોન મંજુર થાય તેટલો સમય કોરા ચેકની જરૂરીયાત હોય તેવુ જણાવતા પોતે સ્નેહદીપને મદદરૂપ થવા કોરો સહી કરેલો ચેક કે જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, સાધુ વાસવાણી રોડની શાખાનો આપેલ. જે ચેક માત્ર પોતાની લોન મંજુર થાય ત્યાં સુધી લેણદારોને દેખાડી શકાય તેવા સહકારના આશયથી આપ્યા હતા. ત્યાર બાદ જુદી જુદી જગ્યાએ લોન અંગેની કાર્યવાહી સ્નેહદીપ નીમાવત દ્વારા કરવામાં આવેલ પરંતુ તેઓ સફળ થયેલ ન હોઇ જેથી તેની પાસે રહેતા પોતાનો ચેક વિપુલને આપી દીધેલ હોય, તેવું તા. ૧૪-૬-૧૮ની વિપુલ ની નોટીસ દ્વારા અમને જાણવા મળેલ અને તે નોટીસમાં પોતે કયારેય કંઇ કપડાને લગતો ધંધો કરેલ ન હોઇ અને તેવા કોઇ વ્યવહારો પણ વિપુલ સાથે કર્યા નથી તેમ છતાં ખોટા બીલો બનાવી અને ચેકનો ખોટી રીતે ઉપયોગ કરી બંને મારી પાસે નાણા પડાવવા અને બંને માર મારવાની ધમકી આપતા પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડાંગર અને મહિલપાલસિંહએ પરાગભાઇએ કરેલી અરજી અંગે તપાસ કરતા વિપુલને બંને પાસેથી પૈસા લેવાના હોઇ તેથી પરાગભાઇએ ચેક આપ્યા હતા પોલીસને તેમ જાણવા મળ્યું હતુ. જો કે આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બનાવ બનેલ હોઇ તેથી યુનિવર્સિટી પોલીસે તે અરજી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી છે.