બોટાદમાં ૯ વર્ષની માસુમ દિકરી ઉપર બળાત્કાર અનેહત્યાના આરોપીને ફાંસી આપોઃ ગૃહમંત્રીને આવેદન
હત્યારા સામે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવોઃ કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર ઉગ્ર દેખાવો
રાજકોટ તા. રપઃ શહેરના વિરાટ દેવીપૂજક સંઘે કલેકટર કચેરીએ ગૃહમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી બોટાદમાં નવ વર્ષની દેવીપૂજક બાળકી બળાત્કારી અને હત્યાને ફાંસી આપવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે બોટાદમાં નવ વર્ષની દેવી પૂજક માસુમ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરેલ છે આ ઘટના તા. ૧પ-૦૧-ર૦ર૩ના રોજ બનેલ જેથી સમગ્ર ભારતભરનો દેવીપુજક સમાજ રોષે ભરાઇને રસ્તા પર ઉતરી આવેલ છે આખો દેવીપુજક સમાજ આ હિન અને નિંદનીય કૃત્યને વખોડી રોષ પ્રગટ કરે છે, એક તરફ સરકાર ''બેટી બચાવો'' અભિયાન ચલાવે છે અને એક તરફ આવા નરાધમો માસૂમ બાળકીઓના બળાત્કાર કરી મૃત્યુ નિપજાવેલ છે, અને કાંઇ સજા થતી નથી તો દેવીપુજક સમાજ સરકાર સામે સવાલ પૂછે છે કે તેઓ દેવીપુજક સમાજની દિકરીઓ સાથે નથી ઉભી ? અમારી દિકરીઓની સલામતીનું શું? આથી સમસ્ત દેવી પુજક સમાજ આજે ન્યાય માંગે છે અને બળાત્કારી અને હત્યારાને ફાંસીએ લટકતો જોવા માંગે છે માટે સરકાર આ કેસ ત્વરીત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને હત્યારાને સજા આપી ફાંસીએ ચઢાવે જેથી દિકરી અને તેના પરિવારને ન્યાય મળે.