સગર્ભા પત્નિને બાઉન્ડ્રીએ મુકી ઘરે પરત જતાં વિષ્ણુનું અકસ્માતમાં મોત
મોરબી રહી ફેક્ટરીમાં મજૂરી કરતા એમપીના યુવાનને વાંકાનેર નવાપરામાં અકસ્માત નડયોઃ રાજકોટમાં દમ તોડયોઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા'તા
રાજકોટ તા. ૨૫: મોરબીમાં દરિયાલાલ કાંટા પાસે રૂમ રાખીને રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં મુળ મધ્યપ્રદેશના વિષ્ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્ડ્રી નજીક નવાપરામાં બાઇક અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ વિષ્ણુના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો વતન જતાં હોવાથી વિષ્ણુ ગત સાંજે પત્નિને બાઇકમાં બેસાડી વાંકાનેર બાઉન્ડ્રી પાસે મુકવા આવ્યો હતો. અહિથી પત્નિ બીજા સગા સાથે વતન જવા નીકળ્યા પછી બાઇક હંકારી વિષ્ણુ મોરબી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડતાં ગંભીર ઇજા પહોંચી હતી. શરૂઆતમાં અજાણ્યા યુવાન તરીકે તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તપાસમાંઆ યુવાનની ઓળખ થઇ હતી. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો.