માંસાહાર, સર્વ નાશાહાર- ઈન્ટરનેશનલ મીટ લેસ ડે, સાધુ વાસવાણીજી જન્મજયંતી
૨૫ નવેમ્બરઃ ઈન્ટરનેશનલ મીટ લેસ ડે : લાશ ખાવાનું છોડો, શાહકારી બનો
દર વર્ષે ૨૫ નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી- જીવમાત્રનાં સેવક સાધુ ટી.એલ.વાસવાણીજીનાં સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. ૧૯૯૩માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા કેળવણી (શિક્ષણ) પર ભાર મુકયો કારણ કે તેઓ માનતા હતા કે જે ઘરમાંસ્ત્રી શિક્ષિત હશે તો આખું કુટુંબ શિક્ષિત બનશે તેઓ અભ્યાસમાં ચારિત્ર્ય નિર્માણ પર ભારત મુકતા સાદગી, સેવા પવિત્રતા અને પ્રાર્થના તેમના મુખ્ય ચાર સિધ્ધાંતો રહ્યા હતાં. તેઓ કહેતા કે માસનો ન ખાવાથી આપણે ઘણી બધી બિમારીઓ જેવી કે મેદવૃધ્ધિ, હૃદયને લગતી બિમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અમુક પ્રકારનાં કેન્સર (ખાસ કરીને ફેફસાના કેન્સરથી) બચી શકીએ છીએ. માસ શાકભાજી કરતા મોંઘુ હોવાથી તેની વપરાશ ઘટાડવાથી નાણાની બચત પણ કરી શકાય છે. ઉપરાંત માસ ખાવાથી થતી બિમારીઓનો જોખમ ઘટવાથી દવાઓ પાછળ થતા ખર્ચને પણ બચાવી શકાય છે અને આ રીતે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુધારા દ્વારા આપણે દેશ માટે વધુ ઉપયોગી કાર્ય કરી શકીએ છીએ.
માંસાહાર એક એવો ખોરાક છે જે લીધા પછી માણસનું શરીર સંપૂર્ણપણે એસીડીક બનતું જાય છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે માનવ શરીર એસીડીકનાં સ્થાને અલ્કલાઈનની નજીક વધુ રહે એ વધુ હિતાવહ કહેવાય માટે શાકાહાર અપનાવવું જોઈએ. વિચિત્ર પ્રકારનાં ઘડેલા ખોરાક ખાવાને બદલે કુદરતે આપેલું ભોજન લેવું વધુ યોગ્ય છે. વળી માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિકસ- પેક એબ્સવાળું બોડી બનાવવું હશે. તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ- પેકેજ જ છે, જેમાં જરૂરી વિટામીન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. સંતુલિત શાકાહારી ખોરાક વ્યકિતને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે. શાકાહાર હૃદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે. માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હૃદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ- પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હૃદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે.
શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઈન્ડેકસ' (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે. શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઈબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન- વેજ ફૂડમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યકિતને પાચન- સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઈબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એકસપર્ટસ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક સેરીબ્રોસાઈડ નામનું તત્વ છે જે મગજ અને બુધ્ધિના વિકાસ માટે સહાયક છે. વળી આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શકિતશાળી અને બુધ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે માટે લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવાની આદતો સારી બનાવવી જોઈએ અને માદક દ્રવ્યોનાં સેવનથી પણ દુર રહેવું જોઈએ. મિત્તલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)