દરગાહે જતી વખતે રસ્તામાં શ્વાસ ચડયો, પરસાણાનગરના સફાઇ કામદારનું મોત
ચંદ્રકાંતભાઇ બિમારીમાંથી સાજા થતાં માનતા ઉતારવા જતાં હતાં ત્યારે બનાવઃ પરિવારમાં શોક
રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં સફાઇ કામદાર યુવાને બિમારીમાંથી સાજા થઇ ગયા પછી દરગાહે દિદાર કરવાની માનતા રાખી હોઇ ગઇકાલે આ યુવાન તેના પત્નિ, માતા-પિતા અને સાળા સાથે હરિપર પાળથી આગળ આવેલી દરગાહે જતો હોઇ ઓચીંતો શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ પરસાણાનગર-૫માં રહેતો અને વોર્ડ નં. ૯માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં ચંદ્રકાંતભાઇ રામજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૬) ગઇકાલે રિક્ષામાં બેસી હરિપર પાળ નજીકની દરગાહે જતો હોઇ શ્વાસ ચડતાં ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર ચંદ્રકાંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતો. સંતાનમાં એક પુત્રી છે.
સગાના કહેવા મુજબ તે બિમાર પડી ગયો હોઇ દરગાહે દિદાર કરવાની માનતા રાખવામાં આવી હતી. સારુ થઇ જતાં ગઇકાલે ચંદ્રકાંતભાઇ તથા તેના માતા-પિતા-સાળો-પત્નિ રિક્ષા ભાડે કરી દરગાહે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં તેની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.