નરશીનગરમાં આશાબેન ખીમસુરીયાને પતિ અને જેઠે મારમારી ત્રાસ આપતા ફરિયાદ
પતિ પ્રફુલ ખીમસુરિયા અને જેઠ અશ્વીન ખીમસુરીયા સામે ગુનો
રાજકોટ,તા. ૨૪ : એરપોર્ટ ફાટક પાસે આવેલ નરશીનગરમાં રહેતી મહિલાને નાની-નાની બાબતે પતિ અને જેઠ મારમારી ત્રાસ ગુજારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નરશીનગર શેરી નં.૧માં રહેતા આશાબેન પ્રફુલભાઇ ખીમસુરીયા (ઉવ.૩૭)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ પ્રફુલ ખીમસુરીયા અને જેઠ અશ્વીન ખીમસુરીયા સામે ફરિયાદ નોંધાવી છે. આશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ૨૦૦૮માં પ્રફુલ ખીમસુરીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને સસરા તથા જેઠ સાથે સંયુકત પરિવારમાં રહે છે. પોતાને સંતાનમાં એક પુત્રી છે. પતિ આઇ.જી. આોફીસમાં નોકરી કરે છે. પોતાને પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર રકઝુક થતી હોય અને તે પોતાને શારીરીક માનસીક ત્રાસ આપતા તેમજ જેઠ પણ અવાર-નવાર જેમ ફાવે તેમ બોલતા હોય જેથી પોતે એક વર્ષ સુધી માવતેર રીસામણે હતા. બાદ ઘરમેળે સમાધાન થઇ જતા નવામા મહિનામાં પોતે પરત સાસરીયે આવી ગયા હતા. પરંતુ સમાધાન બાદ પણ પતિ અને જેઠ ત્રાસ આપી મારમારતા હોય અને અવાર નવાર મારી નાખવાની ધમકી આપતા હોય તેથી અગાઉ મહિલા પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ અરજી કરી હતી. પરંતુ તે સુધરતા ન હોય તેથી પોતાને લાગી આવતા સાત દિવસ પહેલા ફીનાઇલ પી લીધુ હતું. બાદ પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એન.બી.ડોડીયાએ તપાસ હાથ ધરી હતી.