આચારસંહિતાના બહાને વેપારીઓને કનડવાનું બંધ કરોઃ રાજુ જુંજા
રાજકોટ તા. ર૪: આચારસંહિતાની આડમાં વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. એક બાજુ લગ્નસરાની સીઝન છે તો બીજી બાજુ આસપાસના ગામડાઓમાંથી લગ્નની ખરીદી માટે રાજકોટ આવતા ગ્રાહકોને પોલીસ યેનકેન પ્રકારે પરેશાન કરતી હોય સોની બજારમાં વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે પોલીસ તંત્ર સોની વેપારીઓને ખોટી રીતે કનડવાનું બંધ કરે એવી સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુ જુંજાએ માંગણી ઉઠાવી છે, આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી છે.
ખાસ કરીને પોલીસ તંત્રએ રાજકોટ શહેરના ચારેય નાકાઓમાંથી ગેરકાયદેસર રકમની હેરાફેરી ન થાય તે જોવાની જરૂર છે. શહેરમાં નાની મોટી ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વેપારીઓને આંતરીને પરેશાન કરવાની જરૂર નથી. આ બાબતે વહેલી તકે ઘટતું કરવામાં આવે એવી રાજુભાઇ જુ઼ંજાએ માંગણી ઉઠાવી છે.