રણછોડનગરમાં ગેરેજ ઉપર સીડી ઉતરતી વખતે પડી જતા અજાણ્યા વૃધ્ધનું મોત
મહારાજ તરીકે ઓળખાતા વૃધ્ધ ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતા હતા
રાજકોટ,તા. ૨૫ : કુવાડવા રોડ રણછોડનગર શેરી નં. ૧૬/૯ ના ખૂણે આવેલા ગેરેજની ઉપર રહેતા વૃધ્ધ સીડી ઉતરતા પડી જતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતા અને રણછોડનગર ૧૬/૯ના ખુણે આવેલ 'મોમાઇ ગેરેજ'ની ઉપર રહેતા અજાણ્યા વૃધ્ધ (ઉવ.૭૦) સવારે પોતાના ઘરે સીડી ઉતરતા હતા. ત્યારે પગ લપસી જતા પડી જતા તેને માથાના ભાગે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ જતા કોઇએ ૧૦૮ મારફતે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી આ અંગે પી.એસ.આઇ કે.યુ.વાળાએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્ધના વાલીવારસ હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.