અક્ષરપાર્કનો યુવાન યુવતિને ભગાડી જતાં તેના પિતાને વાત કરવા બોલાવી હુમલો
મોરબી રોડ અક્ષરપાર્કના કૃષ્ણકાંત ખત્રીને સોની બજાર દરબાર ગઢ ચોક પાસે વાત કરવા બોલાવી યુવતિના સ્વજનોએ ફટકાર્યાતમને ખબર જ છે તમારો દિકરો કયાં છે...કહી ગડદા પાટુ મારી ગળાચીપ આપી
રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર અક્ષર પાર્કમાં રહેતાં કૃષ્ણકાંતભાઇ વલ્લભદાસ ગરાચ (ખત્રી) (ઉ.વ.૬૬) નામના વૃધ્ધને રાત્રીના બારેક વાગ્યે સોની બજાર દરબારગઢ ચોકમાં અમુલ પાર્લર પાસે ઢીકાપાટુનો માર મારી ગળાચીપ આપવામાં આવતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
કૃષ્ણકાંતભાઇ ગરાચ બંગડી બનાવવાનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે અગાઉ પોતે દરબારગઢ વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં મોરબી રોડ પર અક્ષરપાર્કમાં રહે છે. પોતાને સંતાનમાં એક પુત્ર છે તે પણ બંગડી બનાવવાનું કામ કરે છે. તે દરબારગઢ વિસ્તારની એક યુવતિને બે ત્રણ દિવસ પહેલા ભગાડી ગયો હોઇ પોતે રાતે જુના વિસ્તારમાં આટો મારવા ગયા હોઇ યુવતિના પરિવારજનોએ વાત કરવાના બહાને બોલાવી 'તમારો દિકરો અમારી દિકરીને ભગાડી ગયો છે અને એ કયાં છે તેની તમને ખબર જ છે' કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક બહેને ગળાચીપ આપી દીધી હતી. આ કારણે પોતાના ડોળા બહાર નીકળવા માંડતા બાદમાં પોતાને છોડી દીધા હતાં. એ પછી પોતે સારવાર માટે દાખલ થયા હતાં.
વૃધ્ધે સારવાર બાદ રાતે જ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.