નવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગાયબઃ ફોન બંધ
વાંકાનેરમાં ૨૨મીએ જન્મ થયા બાદ તબિયત બગડતાં અહિ દાખલ કરાયો
રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ત્રણ દિવસના નવજાત પુત્રને રેઢો મુકી વાલી ગાયબ થઇ જતાં અને તેણે ફોન પણ બંધ કરી દેતાં હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું છે. આ અંગે પોલીસને જાણ કરવા તજવીજ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ નવજાત બાળક (પુત્ર)ને બિમારી સબબ ૨૨મીએ રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેના પિતા તરીકે ઓળખ આપનાર વ્યકિત દાખલ કરવા આવી હતી. માતાનું નામ ડિમ્પલબેન લલીતભાઇ બથવાર લખાવાયું હતું અને સરનામુ ચોટીલા પોપટપરાનું જણાવાયું હતું. બાળકને એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું.
દરમિયાન ગઇકાલ સાંજથી આ બાળકના વાલી જોવા ન મળતાં અને તેને ફોન જોડવામાં આવતાં ફોન પણ બંધ આવતો હોઇ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તંત્રએ વાલીની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. બાળકને શા માટે આ રીતે રેઢો મુકી દેવાયો અને વાલીના ફોન શા માટે બંધ આવે છે? તે અંગે ચર્ચા જાગી છે.