વડાપ્રધાનના કાર્યક્રમ માટે અધિક કલેકટર કક્ષાના ૧૦ અધિકારીઓને જવાબદારીઃ ભાર્ગવી દવે નોડલ ઓફીસર
બી.એમ. પ્રજાપતિ, કુમુદબેન યાજ્ઞિક, પી.જી. પટેલ, જી.એચ. સોલંકી, એમ.ડી. ચૂડાસમા વગેરેની નિમણૂકઃ રાજકોટના ડી.પી. ચૌહાણ સહિત ૧૦ ડે. કલેકટરોને પણ જવાબદારી
રાજકોટ, તા. ૨૫ :. કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલયના ઉપક્રમે તા. ૨ ઓકટોબરે મહાત્મા ગાંધી જયંતિ નિમિતે અમદાવાદના સાબરમતિ રીવર ફ્રન્ટ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાનાર છે. તેની સલામતી, પ્રોટોકોલ, આયોજન વગેરેની કામગીરી માટે સામાન્ય વહીવટ વિભાગે અધિક કલેકટર કક્ષાના ૧૦ અધિકારીઓને ગઈકાલથી તા. ૨ ઓકટોબર સુધી ગ્રામ વિકાસ વિભાગના હવાલે મુકવાનો હુકમ કર્યો છે. કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે અધિક ગ્રામ વિકાસ કમિશનર ભાર્ગવીબેન દવે (આઈ.એ.એસ.)ને જવાબદારી સોંપાયેલ છે.
જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના જે અધિકારીઓની આ કાર્યક્રમ સંદર્ભે નિમણૂક કરવામાં આવી છે તેમાં બી.એમ. પ્રજાપતિ, કુમુદબેન યાજ્ઞિક, જી.એચ. સોલંકી, એમ.એન. વોરા, પી.જી. પટેલ, અંજના પટેલ, આર.વી. વ્યાસ, એમ.ડી. ચુડાસમા, એસ.આર. ગોસ્વામી અને કે.એન. ચાવડાનો સમાવેશ થાય છે. રાજકોટના પ્રાંત અધિકારી દિનેશ ચૌહાણ સહિત ૧૦ જેટલા ડે. કલેકટરોને પણ કાર્યક્રમ સંદર્ભે ખાસ ફરજ સોંપવામાં આવી છે.