રાજકોટ
News of Tuesday, 25th September 2018

રેલનગર ક્રિષ્ના પાર્કના વિશાલ સિંધીની હત્યામાં ૪ શખ્સો સકંજામાં: પુછતાછ

રાજકોટ તા. ૨૪: અઠવાડીયા  પહેલા ૧૭મીએ સાંજે છએક વાગ્યે  પોપટપરા-૬માં રહેતો વિપુલ વનરાજભાઇ વડેચા (ઉ.૨૪) નામના કોળી યુવાન પર બાઇક અથડાવા પ્રશ્ને રેલનગર ક્રિષ્ના પાર્ક-૧માં રહેતાં વિશાલ રાજેશભાઇ ટેકવાણી (ઉ.૧૭) નામના સિંધી યુવાને કટરથી હુમલો કરતાં તેનો ખાર રાખી વિપુલના ભાઇઓ જીતુ અને સુનિલે વિશાલનું બાઇકમાં અપહરણ કરી બેફામ માર મારી ફેંકી દીધો હતો. વિશાલનું શનિવારે રાત્રે મધુરમ્ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ગુનામાં ફરાર બંને આરોપીઓને પોલીસ તાકીદે પકડી લે તેવી માંગણી સિંધી પરિવારે કરી હતી. દરમિયાન પોલીસે ચાર શખ્સોને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.

ગઇકાલે મૃતકના પરિવારજનો અને  સિંધી સમાજના લોકોએ આરોપીઓને તાકીદે પકડી લેવાની માંગણી સાથે પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત કરી હતી.

પોલીસે આ બનાવમાં વિપુલ કોળી અને સામે પક્ષે વિશાલના પિતા રાજેશભાઇ ગેદીમલ ટેકવાણીની ફરિયાદ નોંધી હતી. વિશાલે શનિવારે હોસ્પિટલમાં દમ તોડી દેતાં પ્ર.નગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીઓને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે સુનિલ કોળી સહિત ચાર જણાને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.  ડીસીપી મનોહરસિંહ જાડેજાનીરાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ બી. જી. ડાંગર  સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(4:24 pm IST)