રાજકોટના પાદરે પરાપીપળીયાની સીમમાં પશુઓનું મારણ કરનાર દિપડો પીંજરે પુરાયો
ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે પકડાયોઃ વન વિભાગે ઘણા દિવસથી મહેનત આદરી હતીઃ અગાઉ મનહરપુર અને ગવરીદળમાં પણ દેખા દીધી હતી
રાજકોટઃ તાલુકાના પરા પીપળીયા ગામની સીમમાં થોડા દિવસો પહેલા દિપડાએ ત્રાટકી પશુનું મારણ કર્યુ હતું. એ પછી આ દિપડો ગવરીદડ તરફ દેખાયો હતો. આ કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પશુઓનું મારણ કરનાર દીપડાને પકડવામાં વનવિભાગને અંતે સફળતા મળી છે. આજી-૨ ડેમ વિસ્તાર ખંઢેરી સ્ટેડિય સામેના ભાગમાં છેલ્લે દિપડો આંટાફેરા કરતો હોવાની માહિતી પરથી વન વિભાગે ત્યાં પાંજરૂ મુકયું હતું. આ પાંજરામાં આજે દિપડો પુરાઇ જતાં સોૈએ રાહત અનુભવી છે. પરા પીપળીયા વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગામના યુવાનોએ રાત્રી ચોકી પહેરો શરૂ કર્યો હતો. અગાઉ વન વિભાગે પરા પીપળીયામાં પાંજરૂ મુકયું હતું. પણ તેમાં દિપડો પકડાયો નહોતો. એ પછી કેટલાક દિવસથી આજી-૨ ડેમ વિસ્તારમાં દિપડાનું લોકેશન મળ્યું હતું. અંતે આજે સવારે આ દિપડો પાંજરે પુરાઇ ગયો છે.
થોડા સમય પહેલા જામનગર રોડ પરના મનહરપુરમાં પણ દિપડાના પંજાના નિશાન જોવા મળ્યાં હતાં. આથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તસ્વીરમાં પાંજરે પુરાયેલો દિપડો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)