મસાલાની જેમ ડુંગળી પણ બારમાસી ભરી લેવાય તો બન્ને તરફ સુવિધા સચવાય : પટેલ-રૈયાણી-સાગઠીયા
રાજકોટ તા. ૨૫ : ડુંગળી દર વર્ષે ખેડુતોનેય રડાવે છે અને મોંધી થાય તો ગૃહીણીઓને રડાવે છે. પરંતુ જો વચલો રસ્તો કાઢી બગડે નહીં તેવી પીળી પતીની તથા સફેદ ડુંગળી બાસમાસી ભરી લેવામાં આવે તો બન્ને તરફની સુવિધા સચવાય જાય તેમ હોવાનું રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ એક સંયુકત નિવેદનમાં જણાવેલ છે.
તેઓએ જણાવ્યુ છે કે માંગ કરતા પુરવઠો બજારમાં વધુ ઠલવાઇ ત્યારે ભાવ તળીએ બેસે છે અને માલની માંગ કરતા જથ્થો ઓછો હોય ત્યારે ભાવ ઉછાળો મારે છે.
પણ જો શિયાળામાં પાકતી પીળી પતી તથા સફેદ ડુંગળી બાર માસ માટે ઘરમાં ભરી લેવાય તો આ સમસ્યામાંથી ઉગરી શકાય છે. કેમ કે આ ડુંગળી બહુ બગડતી નથી. દરેક ડુંગળી ખાનાર વર્ગના લોકો વર્ષની જરૂરીયાત મુજબ જથ્થો ખરીઁદવા બજારમાં આવે અને હાલ રૂ. ૪૦ ના કિલો લેખે બાચકુ ખરીદી લ્યે તો માત્ર ૪૦૦ થી ૬૦૦ રૂપિયાનું રોકાણ થાય. વળી સામે ખેડુતોને માલ ઉપડે એટલે તે પણ ઉત્સાહમાં આવે.
જેમ ઘઉં, મસાલા બારે માસના ભરી લેવાય છે તેમ ડુંગળી બાર માસની ઘરમાં ભરવા શ્રી પટેલ, શ્રી રૈયાણી અને શ્રી સાગઠીયાએ જણાવેલ છે.