પોલીસ અટકાવે તો લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અપિલ
વાહન ચાલકોએ એક સાથે ભેગા ન થઇ કતારમાં ઉભા રહેવું જરૂરી
રાજકોટ તા. ૨૫ઃ કોરોના મહામારી વધુ ફેલાય નહિ તે માટે જાહેર કરાયેલા લોકડાઉન-૦૪ની સાથોસાથ સરકારે થોડીઘણી છૂટછાટો પણ આપી છે. આ સમય દરમિયાન શહેરની જનતા અગત્યના કામકાજ માટે જ જાહેરમાં નીકળે તેવી અપિલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરી છે.
શહેર પોલીસ દરરોજ વાહન ચેકીંગની કામગીરી પણ કરે છે. આ વખતે વાહન ચાલકોને ઉભા રખાય ત્યારે તેઓ એક સાથે એકઠા થઇ જાય છે. આવું કરવું તે જાહેર જનતા અને પોલીસ એમ બંને માટે જોખમી છે. શ્રી અગ્રવાલે જનતા જોગ અપીલ કરી છે કે રોડ પર પોલીસ વાહન ચેકીંગ માટે અટકાવી પુછતાછ કરે ત્યારે લાઇનમાં એક પછી એક સોશિયલ ડિસન્ટસ સાથે જ ઉભા રહેવું જરૂરી છે. એક બીજાના સંપર્કમાં આવ્યા વગર દૂર ઉભા રહેવું જરૂરી છે. જેથી લોકો પોતે અને પોલીસ કર્મચારીઓ પણ સંક્રમણથી બચી શકશે. લોકોને ટ્રાફિક નિયમો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ તેમણે અંતમાં જણાવ્યું છે.