જલજીત સોસાયટીમાં ચામડીના દર્દથી કંટાળી રશ્મીબેને જિંદગી ટૂંકાવી લીધી
રાજકોટ તા. રપઃ ગોકુલધામ પાસે જલજીત સોસાયટીમાં ચામડીની બીમારીથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ગોકુલધામ પાસે જલજીત સોસાયટી શેરી નં. ૩ માં રહેતા રશ્મીબેન રમેશભાઇ રૂડકીયા (ઉ.વ.૩૬) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ના ઇએમટી કિશનભાઇ છૈયાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કન્ટ્રોલ ઇન્ચાર્જ જાનીભાઇએ જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે. કે. પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી મૃતક રશ્મીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને ઘણા સમયથી લેપ્રેસીની બીમારી હોઇ, તેથી કંટાળી જઇ પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું.