હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી
રાજકોટ તા. રપઃ હત્યાના ગુન્હામાં આરોપીની વચગાળાની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી.
ગત તા. ૧૩-ર-ર૦ના રોજ જસદણમાં લાતી પ્લોટ ગોખલાણા ગામે જવાના રિક્ષા સ્ટેન્ડ પાસે અગાઉના ઝઘડાઓનો ખાર રાખી આરોપીઓએ કિરણ ઉર્ફે જીનીયા રમેશભાઇ પરમારની છરીના ઘા મારી હત્યા નિપજાવેલ તે હત્યાના ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપી કિરણ ભીખાભાઇ મકવાણાએ વચગાળાના દિવસ ૩૦ માટે જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ અને તેમાં તેમના કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું તથા અન્ય કારણો બતાવી જામીન અરજી કરેલ. સરકારી વકીલે રજુઆત કરેલ કે આરોપી સામે હત્યાનો ગંભીર ગુન્હો છ઼ે. તેને જામીન આપવામાં આવશે તો સુલેહશાંતિનો ભંગ કરશે અને જામીન આપવા માટેનું કોઇ કારણ વ્યાજબી કે યોગ્ય નથી તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પી. એમ. ત્રિવેદીએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.